Vadodara News: MS યુનિવર્સિટીમાં 74મો પદવીદાન સમારોહ યોજાયો, કુલ 354 સુવર્ણપદકો એનાયત કરવામાં આવ્યા
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 163 વિદ્યાર્થિનીઓ સહિત 354 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રકો અપાયા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું, 'શિક્ષણનો ઉદ્દેશ શ્રેષ્ઠ સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે.'

Vadodara News: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા (MSU)નો 74મો દીક્ષાંત સમારોહ આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્યતાથી યોજાયો. આ સમારોહમાં કુલ 354 સુવર્ણપદકો એનાયત કરવામાં આવ્યા હતા.
વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યું
આ વર્ષે સુવર્ણપદક મેળવનારા 354 વિદ્યાર્થીઓ પૈકી, 229 વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે પદક એનાયત કરાયા, જેમાં 163 વિદ્યાર્થિનીઓ અને 66 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ આંકડા શિક્ષણ ક્ષેત્રે દીકરીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને દર્શાવે છે.
'વિકસિત ભારત' માટે યોગદાન આપો: રાજ્યપાલ
દીક્ષાંત પ્રવચનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ પદવી પ્રાપ્ત કરનાર અને સુવર્ણપદક વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. તેમણે યુવાઓને શીખ આપતા જણાવ્યું કે:
- મંથનનો દિવસ: "આજનો દિવસ મહત્ત્વનો હોવાની સાથે મંથન કરવાનો પણ છે. વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત માટે આપણે શું યોગદાન આપી શકીએ, તે વિચારવું જોઈએ."
- શિક્ષણનો ઉદ્દેશ્ય: યુનિવર્સિટીમાંથી મેળવેલા શિક્ષણનો ઉપયોગ સમાજને પરત આપવાનો સમય છે. "શિક્ષણનો ઉદ્દેશ શ્રેષ્ઠ સમાજ અને ઉન્નત રાષ્ટ્ર નિર્માણનો છે."
- તેમણે ભારતીય જીવન મૂલ્યો અને સંસ્કૃતિને હૃદયમાં રાખીને સત્યના આચરણ સાથે કર્તવ્યનું પાલન કરવા યુવાઓને આહ્વાન કર્યું.
રાજ્યપાલએ મહારાજા સયાજીરાવ ગાયકવાડના શિક્ષણ પ્રેમ અને પ્રજાપાલનને આજની પેઢી માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યું.
રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન જરૂરી: શિક્ષણ મંત્રી
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે, પદવી મેળવ્યા બાદ વિદ્યાર્થીઓની જવાબદારી માત્ર વ્યક્તિગત ઉત્કર્ષ પૂરતી સીમિત ન રહેતા, રાષ્ટ્ર નિર્માણ અને સમાજ કલ્યાણના પવિત્ર કાર્યમાં સક્રિય યોગદાન આપવાની હોય છે.
- નવી શિક્ષણ નીતિ: તેમણે કહ્યું કે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલથી ભારતીય જ્ઞાનની ગૌરવપૂર્ણ પરંપરાનું પુનરુત્થાન થયું છે, જેમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડના વિચારોનું પ્રતિબિંબ જોવા મળે છે.
- સફળતાના મંત્રો: મંત્રીએ વિદ્યાર્થીઓને આવતીકાલના જવાબદાર નાગરિકો તરીકે સંબોધીને જીવનમાં આવતા પડકારોનો સામનો કરવા અને વિકસિત ભારતમાં સહભાગી થવા માટે અનુરોધ કર્યો, સાથે જ સ્વામી વિવેકાનંદના શબ્દો ટાંકીને સતત શીખવાની ધગશ રાખવાની શીખ આપી.
કુલાધિપતિએ ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી
યુનિવર્સિટીના કુલાધિપતિ રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડે પદવીધારકોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું કે, તેઓ સખત મહેનતથી માનવકલ્યાણ અને સમૃદ્ધિ માટે કામ કરીને પોતાના સંસ્કાર અને ચારિત્ર્ય થકી યુનિવર્સિટીનું નામ ગૌરવાન્તિત કરે.
આ સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના વડાઓ, પ્રાધ્યાપકો, સુવર્ણપદક વિજેતા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
