નલિયા દુષ્કર્મ કેસ: ભાજપની સફાઇથી લઇને પોલીસની કાર્યવાહી સુધી
નાલિયા દુષ્કર્મ કેસમાં પોલીસે વધુ ત્રણની અટક કરી. ભાજપ આ મામલે શું સફાઇ આપીથી લઇને હાર્દિક પટેલના આગમન સુધી આ કેસને લગતી વિવિધ વિગતો વાંચો અહીં.
નલિયા દુષ્કર્મ કેસમાં પોલીસે વધુ ત્રણ લોકોને પકડી પાડ્યા છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી જે મોબાઇલ ફોન પોલીસે કબ્જે કર્યા છે તેને પોલીસે પરીક્ષણ માટે મોકલ્યા છે. સાથે જ પોલીસ અગાઉના આરોપીઓની તપાસ દરમિયાન મળેલી વસ્તુઓ પણ એફએસએલમાં મોકલશે.
Read also: નલિયા સેક્સકાંડ જાણો શું છે આખો મામલો
નલિયા દુષ્કર્મ કેસમાં જે વધુ ત્રણ 3 આરોપીઓની ધરપકડની ખબર આવી છે તેમના નામ અજિત રામવાની, ગોવિંદ પરૂમલાની વસંત ભાનુશાલી છે. જેમની અટલ સમાખીયાળી ચેકપોસ્ટ પરથી કરવામાં આવી છે. નોંધનીય છે કે સોમવારે પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ નલિયા આવશે તેવી સંભાવના છે. વળી કોંગ્રેસ અને આપ દ્વારા તો આ અંગે ભાજપના નામના છાજલા કુટાઇ જ રહ્યા છે ત્યારે આ કેસમાં અત્યાર સુધી શું અપટેડ આવી છે જાણો અહીં....
વધુ ત્રણની અટક
પોલીસ દ્વારા આ કેસમાં વધુ ત્રણ આરોપીઓની અટક કરવામાં આવી છે. જે સાથે આ કેસમાં 8 આરોપીઓની ધરપકડ થઇ ચૂકી છે. મહિલાની ફરિયાદ મુજબ તેની સાથે 10 વધુ લોકોએ અલગ અલગ સમયે દુષ્કર્મ આચર્યો છે. અજિત રામવાની,ગોવિંદ પરૂમલાની વસંત ભાનુશાલીની પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે. વળી નલિયા દુષ્કર્મ કેસ ના આરોપીઓના નિવાસો પર પણ પોલીસ અને SIT ની તપાસ કરવામાં આવી છે. બબા શેઠ ઉર્ફે વિનોદ ઠક્કરના ઘરે થી CPU કબ્જે કરાયું. વળી તમામ આરોપીઓના મોબાઇલ અને આ સીપીયુ પર એફએસએલમાં વધુ તપાસ માટે મોકલવામાં આવ્યું છે.
આગોતરા જમીન
વળી નલિયા દુષ્કર્મ કેસમાં ધરપકડથી બચવાના પ્રયાસો પણ આરોપીઓએ શરૂ કરી દીધા છે. બળાત્કારના આરોપી વસંત ભાનુશાલીએ આગોતરા જામીન અરજી કરી છે. નોંધનીય છે કે વસંત ભાનુશાલી ગાંધીધામ પાલિકાના કાઉન્સીલર છે. ભુજ અધિક સેશન્સ કોર્ટમાં કરેલ આ અરજીમાં વધુ સુનવણી 14 ફેબ્રુઆરીએ છે.
મહિલા આયોગની તપાસ
આ કેસમાં મહિલા આયોગના અધ્યક્ષ લીલા બેન અંકોલીયાએ નલિયા પહોંચી પિડીતા સાથે એક કલાક મુલાકાત કરી હતી. તેમની સાથેની વાતચીતમાં પીડિતાએ પોલીસ કામગીરી થી સંતુષ્ટ હોવાનું જણાવ્યું છે. તો બીજી તરફ નલિયા દુષ્કર્મ મામલો,જિલ્લા કલેક્ટર,જીલ્લા પોલીસ વડા અને SIT ના અધિકારીઓ સાથે મહિલા આયોગ ના ચેરમેન લીલાબેન અંકોલીયાની બેઠક પણ કરી હતી. અંદાજે એક કલાક સુધી ચાલી બેઠકમાં કેસના પાસાઓને લઇને ચર્ચા કરાઈ હતી. તપાસ અંગે જિલ્લા પોલીસ વડા મકરંદ ચૌહાણ તપાસ ઝડપથી પૂર્ણ કરવા અને બાકી ના આરોપીઓ ને ત્વરિત ઝડપી પાડવા આદેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું.
ભાજપ સાંસદનું નામ
કચ્છના નલિયાના બહુચર્ચિત સામુહિક દુષ્કર્મકાંડમાં ભાજપના સાંસદનું નામ પણ ઉછળ્યું હતું. કચ્છ ભાજપના સાંસદ વિનોદ ચાવડાએ આ અંગે મૌન તોડ્યું છે. એક ચેનલ સાથે વાતચીતમાં વિનોદ ચાવડાએ કહ્યુ હતું કે, આ ઘટના કલંકિત છે, પીડિતાને ન્યાય મળે તે મારો પ્રથમ પ્રયાસ છે. મારું નામ ચર્ચામાં લાવનારા 'આપ' સામે કાર્યવાહી કરીશ.પીડિતા કે તેના પરિવાર પાસે મેં કોઈ એફિડેવિટ કરાવ્યું નથી.આ વાત તથ્યહિન છે.
કોંગ્રેસનો વિરોધ
તો સામે પક્ષે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા આ અંગે વિરોધ રજૂ કરાયો છે. કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પાટણમાં પણ જીલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા નલીયા સામુહિક બળાત્કારની ઘટનાના વિરોધમાં ભાજપનું પુતળા દહન અને ભારે સુત્રોચ્ચાર કરી ભાજપ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
અલ્પેશ અને હાર્દિક
તો બીજી તરફ અલ્પેશ ઠાકોર પણ આ વાતનો વિરોધ કરતા જણાવ્યું છે કે ભાજપના રાજમાં ગુજરાતમાં મહિલાઓ સલામત નથી. તેમણે નલિયા ખાતે પોતાનું એક ડેલિગેશન મોકલવાની વાત કહી હતી. તો સોમવારે પાસ કન્વીનર હાર્દિક પટેલ પણ નલિયાની મુલાકાત લેવાનો છે. જે પહેલા આ તમામ વિરોધ વચ્ચે ભાજપ પોતાનો બચાવ કરવા પૂરતો પ્રયાસ કરી રહી છે.
Must Read
નલિયા દુષ્કર્મ કેસ અંગે વધુ વિગતો વાંચવા માટે ક્લિક કરો અહીં