મણિનગરમાં મોદીની વિજયસભા, કહ્યું 'તમને ઓછું નહી આવવા દઉ'
મોદીએ જણાવ્યું કે ચૂંટણીમાં આપને કારણે, આપની મદદને કારણે, આપની લાગણીના કારણે, ભાજપનો ભવ્ય વિજય થયો છે. હું સવિશેષ રીતે મણિનગરના મતદાતાઓનો ઋણ સ્વીકાર કરવા આવ્યો છું.. અંત:કરણથી આભાર માનવા આવ્યો છું. જાહેર જીવનમાં આવું જવલ્લે જ બને કે ઉમેદવાર માત્ર નામાંકન પત્ર ભરવા જ આવે અને આખેઆખી ચૂંટણીમાં ડોકીયુ કરવા પણ જઇ ના શકે. અહિયા લાખો લોકો હશે જેમને મને મળવાનો મોકો નહી મળ્યો હોય, અનેક લોકો હશે જેમણે હાથ પણ નહી મેળવ્યા હોય, તોય તેમણે મારી પર અપાર પ્રેમ વરસાવ્યો છે.
ચૂંટણી વ્યવસ્થામાં ક્યાંય ખોટ રહી ગઇ હોય તો આસપાસની સોસાયટીના મિત્રોએ જાતે એ કામ ઉપાડ્યું છે. આખી ચૂંટણી દરમિયાન શું ચાલે છે એ પૂછવા સુદ્ધાની મે દરાકર ન્હોતી લીધી કારણ કે મને ભરપૂર વિશ્વાસ હતો. અને મારા વિશ્વાસને તમે તોડ્યો નથી એનો મને આનંદ છે. અહીનો મતદાર સો એ સો ટકા માનતો હતો કે એને ગુજરાતની આવતી કાલ માટે મહોર મારવાની છે. મોદી તો ગુજરાત-ગુજરાત કરે એ સમજાય પણ મણિનગરનો મતદાતા પણ આવું માનીને ચાલતા હતા.
કાર્યકરોને પણ ખુબ ખુબ અભિનંદન આપવાના છે. દરેક કાર્યકર્તાએ જમીન પર રહીને મહેનત કરી છે, કોઇ અભિમાન વગર કામ કર્યું છે અને કાર્યકરોએ એક પણ ફરિયાદ નથી આવવા દીધી. કોઇપણ ભૂલો વગર કામ કર્યું છે. તેમનો હું આભારી છું કારણ કે ચૂંટણી પંચવાળા તો વીઆઇપી બેઠકો પર વોચ રાખીને બેઠા હોય છે. તેઓ એવું માનતા હોય છે કે 'વાઘનો શિકાર કરવાનો આનંદ કંઇક ઓર હોય છે'. પરંતુ કાર્યકરોએ શિસ્તનું પાલન કર્યું છે. અને સામાન્ય પ્રજાને ક્યાય અગવડ ના થાય તેની કાળજી લીધી છે. મણિનગનરના મિત્રોની ચૂંટણીનું આયોજન એક ઉદાહરણ રૂપ બની રહેશે. જ્યારે માહોલ શાંત હશે ત્યારે દેશમાં આની જરૂર ચર્ચા થશે.
મહાત્માએ સ્વરાજ્ય આપ્યું. આપણી જવાબદારી હતી કે દેશને સુરાજ્ય તરફ દોરી જવું. અને આજે આપણે જેટલી મુસીબતો ભોગવી રહ્યા છીએ તેમાં સુરાજ્ય માટેની જે સુજ જોઇએ તેની ઉણપ છે. લોકોએ શોર્ટકટ શોધ્યા. મિત્રો આપણે ચૂંટણીલક્ષી સરકારને બદલે પ્રજાલક્ષી ચૂંટણીની વિચારધારા અપનાવી માટે સફળ થયા છીએ માટે વિકાસ કરી શક્યા છીએ.
પહેલા વિકાસની બાબતમાં સમદ્રષ્ટિનો અભાવ હતો. પેલી બાજુનું અમદાવાદ અલગ અને આ બાજુનું અમદાવાદ અલગ. અને અત્યારે જે વિકાસ પૂર્વ અમદાવાદમાં થાય છે એ જ અહીં થાય છે. મોદીએ કપાસ અંગે અને ખેડૂતોના હિત અંગે પણ વાત કરતા જણાવ્યું કે કપાસની ખેતીમાં વધારો કરવા અને ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે તે માટે આપણે માટે ગુજરાતે રસ્તો શોધ્યો છે. કપાસમાં મૂલ્ય વૃદ્ધી કરવાની દીશામાં આગળ વધવા 5Fની પદ્ધતિ અપનાવી છે. એક દિવસ એવો આવશે કે સમગ્ર ભારતમાં ટેક્સટાઇલ હબ ગુજરાત હશે. વૈશ્વીક વ્યાપારમાં ગુજરાતી પોતાનો પગદંડો જમાવશે.
જ્યારે હું પહેલીવાર મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે કન્યા કેળવણીની હાલત કફોડી હતી, હવે સ્થિતિ અલગ છે. મે ભારત સરકાર પાસેથી સેટેલાઇટ ભાડે માંગ્યો. તેનો હેતું એ કે દૂર છેવાડાના ગામડાની શાળામાં બેઠેલા વિદ્યાર્થીને અહીં ગાંધીનગરથી શિક્ષક ભણાવી શકે.
પહેલા કાંકરીયા હતું પણ પહેલાના નેતાઓને કાંકરીયાના દેખાયું નહી, મને દેખાયું. અત્યારે કાંકરિયા કેવું છે? આને વિકાસ કહેવાય કે નહી. તેમણે બીઆરટીએસનો પણ દાખલો બેસાડ્યો અને કહ્યું કે તેના બસસ્ટેન્ડમાં કોઇ નાગરિક દ્વારા સુવ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. આ દેશના નાગરિકોની અંદર પડેલી શક્તિને ભાજપ સમજે છે માટે વિકાસ થાય છે. દેશ અને દુનિયાને વિકાસની રાજનીતિ સ્વીકારી છે. અને ગુજરાતનો નાગરિક ભ્રમિત ના થયો, કોઇ લોભમાં ના પડ્યો અને વિકાસની રાજનીતિને અપવાવી છે.
મોદીએ છેલ્લે જણાવ્યું કે મારી પાસે દસબાર વર્ષના અનુભવનું ભાથું છે. હું દરેક માણસને નજીકથી ઓળખું છું. માટે અત્યારસુધી મે જે કામ કર્યું છે તેના કરતા આગામી પાંચ વર્ષ ઉજ્વળ રહેશે તેની ખાત્રી આપું છું. આપ ભરોશો રાખજો મારાથી એવું કઇ નહી થાય કે આપને ઓછું આવે. આપ જ ધારાસભ્ય છો અને આપ જ નેતા છો આપણે સૌ સાથે મળીને આ વિસ્તાર અને ગુજરાતનો વિકાસ કરીશું. 25મીએ કાંકરીયા કાર્નિવલનું ઉદઘાટન કરવા આવીશ ત્યારે જરૂર મળીશ.