ઘરનું ઘર આપનારા ઘરભેગા, પંડિતાઈ પણ ધરાશાઈ
અમદાવાદ, 20 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચુંટણી 2012એ અનેક માન્યતાઓ તોડી છે, તો અનેક માન્યતાઓને માન પણ આપ્યું છે. ખાસકરીને ઑપિનિયન પોલ તથા એક્ઝિટ પોલ અંગે ઊભા કરાતા સવાલો સામે ચુંટણી પરિણામોએ પૂર્ણવિરામ મુકી દીધું. નરેન્દ્ર મોદીની આ જીત માત્ર શ્વેતા ભટ્ટ વિરુદ્ધ નહીં, પણ તમામ રાજકીય પંડિતો સામે છે કે જેઓ વધુ મતદાનને સત્તા વિરોધી લહેર તરીકે આંકતા હતાં અને બીજો પાઠ પ્રજાએ કોંગ્રેસને ભણાવ્યો છે કે જે ઘરનું ઘર આપવાના પ્રલોભનના બળે ચુંટણી જીતવા નિકળ્યાં હતાં. ઘરનું ઘર આપનારાઓને પ્રજાએ ઘરભેગા કર્યાં છે.
હકીતમાં ગુજરાતમાં વિધાનસભા ચુંટણીની જાહેરાતથી પહેલા સુધી ચારે બાજુ માહોલ મોદીમય હતો, પરંતુ જેમ ચુંટણી નજીક આવી અને કોંગ્રેસે એક પછી એક પ્રલોભનકારી જાહેરાતોનો સિલસિલો શરૂ કર્યો. તેમાં સૌથી મોટું પ્રલોભન તો ઘરનું ઘર યોજના હતી. આ યોજના અંગે કોંગ્રેસના નેતાઓ એટલા બધા ઉત્સાહિત હતાં કે તેમને એવી પ્રતીતિ થવા લાગી હતી કે ભલે સ્ત્રીઓને ઘરનું ઘર આપતા પરસેવા છુટી જાય, પરંતુ હવે ચુંટણી જીતવા માટે પરસેવો નહીં વહાવવો પડે. બસ ફૉર્મ ભરાવી લો અને મતો લૂંટી લો. જાણે ચિત્રકૂટના ધામે રામ નામની લુંટ મચી હોય, પરંતુ પ્રજાએ ઘરનું ઘરના સૂત્રધારો અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલને જ જાકારો આપી તેમના સહિત આખી કોંગ્રેસને ઘરભેરી દીધી છે.
હવે વાત કરીએ સર્વેક્ષણોની. ચુંટણીથી ડોઢ-બે માસ અગાઉથી જ શર થયેલ વિવિધ સર્વેક્ષણોમાં મોદીને ભારે લીડ અપાઈ, તો તેની ઉપર કોઈએ ભરોસો કર્યો નહીં. રાજકીય પંડિતો પોતાના વ્યક્તિગત ચશ્માઓ અને ગુજરાતની લોકલાગણીની અજ્ઞાનતાને વશ થઈ પોત-પોતાના ગણિત લડાવતાં રહ્યાં. અનેક રાજકીય પંડિતોએ એવા સર્વેક્ષણોને ફગાવી જ દીધાં. તેની પાછળ તેમનો પરમ્પરાગત તર્ક પણ હતો કે થોડાંક હજાર લોકોના અભિપ્રાય છે, જ્યારે ગુજરાતમાં પોણા ચાર કરોડ મતદારો છે.
ખેર આ તો ચુંટણી પૂર્વેના સર્વેક્ષણોની વાત હતી. હવે મતદાન બાદ અને તેમાં પણ ભારે મતદાને તો રાજકીય પંડિતોની ઉંઘ ઉડાડી દીધી. કરે પણ શું? કંઇક તો અટકળો લગાવવાની જ હતી. ડાયરેક્ટ કહી દે કે ભારે મતદાન મોદીના પક્ષે થયું છે, તો પક્ષપાતનું લેવલ લાગી જાય. એવામાં ભારે મતદાન અંગે સત્તા વિરોધી લહેરની અટકળોની લહેર શરૂ થઈ, પરંતુ તેવા તથાકથિત રાજકીય પંડિતોના મગજમાં એ વાત ક્યાંય નથી ઝબકતી હતી કે આખરે છેલ્લા 11 વર્ષોમાં કે જે દરમિયાન માત્ર ગુજરાતમાં સામાન્ય રીતે વિકાસની જ ચર્ચા થઈ છે, એવું તો શું થયું કે સત્તા વિરોધી લહેર ફુંકાઈ જાય?
અને ચલો માની લઇએ કે મોદી સામે લોકો નારાજ હતાં, તો ભલા કોંગ્રેસે આ 11 વર્ષોમાં એવું કયું મોટું કામ કર્યું કે પ્રજાના મનમાં તેમના પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવે. પછી વાત કેશુભાઈની કરીએ. 111 દિવસથી સક્રિય કેશુભાઈ પણ પટેલો માટે જ એવું શું કરી નાંખ્યુ કે આખું પટેલ સમાજ તેમના પક્ષે થઈ જાય. અને પટેલ તેમના પક્ષે થાય તો થાય, પણ બાકી ગુજરાત તેમના પક્ષે કેમ વાવાઝોડું ચલાવે? અને આ રીતે ગુજરાતના ચુંટણી પરિણામોએ રાજકીય પંડિતોની પંડિતાઈને ધરાશાયી કરી છે અને સાબિત કરી આપ્યું કે રાજકીય મહત્વાકાંક્ષાઓના ભયાનક વાવાઝોડા વચ્ચે પણ મતદારો રાજકીય પરિપક્વતાને જ મહત્વ આપે છે. એટલું જ નહીં, ઘરનું ઘર જેવા પ્રલોભનો કમ સે કમ ગુજરાતના મતદારોને લલચાવી તો ન જ શકે. આ પણ મતદારોની પરિપક્વતાની નિશાની જ છે.