પાટણમાં PM મોદી :કોંગ્રેસ બ્લુ વ્હેલમાં ફસાઇ છે, 18મી તારીખે છેલ્લો એપિસોડ છે
પાટણમાં નરેન્દ્ર મોદી અશોક ગેહલોત અને બ્લુ વ્હેલ ગેમને યાદ કરીને શું ટિપ્પણી કરી જાણો અહીં. પાટણમાં મોદીએ કોંગ્રેસ પર કેવા પ્રહારો કર્યા તે અંગે વાંચો અહીં.
સોમવારે, ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપના પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાટણ પહોંચ્યા હતા. પાટણ ખાતે તેમણે ભવ્ય જનસભા યોજીને ભાજપને વોટ આપવા માટે લોકોને અપીલ કરી હતી. આ જનસભાની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાટણના વખાણ કરતા કહ્યું હતું કે રાણકી વાવ હોય, કુંભ મેળો હોય કે આપણા યોગ આજે આખી દુનિયામાં ભારતની વાત સ્વીકાર છે. વધુમાં તેમણે કહ્યું કે "આપ જે મને આશીર્વાદ આપી રહ્યા છે, આપે મને જે સંસ્કાર આપ્યા છે, આપે મને જે શક્તિ આપી છે, હું આપને વિશ્વાસ આપું છું કે હું ક્યારેય એને એળે નહીં જવા દઉં. શરીરનો કણ-કણ અને જીવનની ક્ષણ-ક્ષણ એ માત્રને માત્ર આ મારા સવા સો કરોડ દેશવાસીઓ માટે છે"
પોરબંદરમાં ઇવીએમ મશીન અને બ્લુ ટૂથ મામલે વિવાદ અંગે બોલતા નરેન્દ્ર મોદીને બ્લુ વ્હેલ ગેમ યાદી આવી હતી. તેમણે કહ્યું કે ખરેખર તો કોંગ્રેસવાળા તમે આ બ્લુ ટુથ-બ્લુ ટુથ બોલવાનું બંધ કરો, મુદ્દો છે તમે બ્લુ વ્હેલમાં ફસાણા છો એટલે તમને 18 મી તારીખે આ બ્લુ વ્હેલનો આખરી એપિસોડ જોવા મળશે. વધુમાં પૂર વખતે કોંગ્રેસ ક્યાં હતી તે સવાલ પણ પીએમ મોદીએ અહીંના લોકોને પુછ્યો હતો અને કહ્યું હતું કે તમે અહીં પૂરના પાણીમાં બચવા માટે મથામણ કરતા હતા અને કોંગ્રેસના નેતાઓ સ્વિમિંગ પુલમાં ઝબૂકિયા કરતા હતા. જે દુઃખમાં તમારી જોડે રહેતા હોય એમને આ ચૂંટણીમાં જેટલી મદદ કરીએ એટલી ઓછી છે. સમાજના સુખે સુખી અને સમાજના દુખે દુખી ભાજપનો કાર્યકર્તા ખડેપગે કામ કરતો રહ્યો છે, દોડતો રહ્યો છે એટલા માટે ભારતીય જનતા પાર્ટીનું કમળ ગુજરાતના પ્રત્યેક નાગરિકના દિલમાં વસેલું છે.
સાથે જ તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસવાળા જે બધું કરે એ એક વખત માટે કરે અને અમે એક વખતવાળા નથી અમે તો સદીઓ સુધી તમારી આવનારી સાત પેઢીઓ તરી જાય એવું કામ કરીએ છીએ. વારંવાર એક જ પ્રકારનું જુઠ્ઠાણું ઠેર-ઠેર જઈને બોલવાનો અર્થ એ થયો કે તમે માનીને બેઠા છો કે આ ગુજરાતની જનતાને કશી ખબર નથી પડતી અને તમે આ જે ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે તેનો બદલો 14 મી તારીખે ખબર પડી જશે. નોંધનીય છે કે બનાસકાંઠામાં હાલમાં જ પીએમ મધુક્રાંતિ અને શ્વેતક્રાંતિ આવે તે માટે પ્લાન્ટ ખુલ્લા મૂક્યા છે. ત્યારે આ વાતને જ યાદ કરાવતા તેમણે કહ્યું કે મારે ઉત્તર ગુજરાતમાં એક નવું કામ કરવું છે જેમ આપણે શ્વેતક્રાંતિ કરી એમ હવે મધુક્રાંતિ કરવી છે.
બેટી બચાવ બેટી પઢાવો પર બોલતા મોદીએ કહ્યું કે તે ગુજરાતના ગામડે ગામેડ ફરીને ભીક્ષા માંગી છે. તેમણે આ અંગે કહ્યું કે આ તમે જેને મોટો કર્યો એ તમારો છોરુ ભર ઉનાળામાં 13, 14 અને 15 જૂન ત્રણ દિવસ ગુજરાતના ગામડાં ખૂંદતો હતો, સમી-હારીજના ગામડાં ખૂંદતો હતો અને ગામડે-ગામડે જઈને ભિક્ષા માંગતો હતો અને કહેતો હતો ભિક્ષામાં મને તમારી દીકરીને ભણાવાનું વચન આપો. અહીં તેમણે ગરીબી અને કોંગ્રેસના યુવરાજ અંગે બોલતા જણાવ્યું કે ગરીબી શું કહેવાય એ તમે જોઈ નથી, ઉઘાડા પગે રસ્તા પર નીકળીએ અને કાંકરો પગ નીચે ખૂંચે તો શું થાય એ તમને ખબર નથી. તમે તો સોનાનો ચમચો લઈને પેદા થયા છો. સાથે કોંગ્રેસના ગુજરાતના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત પર બોલતા પીએમ મોદીએ કહ્યું કે અશોક ગેહલોતે સુજલામ સુફલામનો વિરોધ કરીને તમને તરસ્યા રાખવાનું ષડયંત્ર કર્યું એ અત્યારે કોંગ્રેસને જીતાડવા આવ્યા છે, એ કોંગ્રેસને જીતાડાય?