માતાને મળ્યા બાદ મોદી ભારે હૈયે બોલ્યાં : ‘આવજો ગુજરાત’!
અમદાવાદ, 22 મે : આખરે તે થઈ ગયું કે જેનો પાયો 20મી ડિસેમ્બર, 2012ના રોજ નંખાઈ ગયો હતો. આખરે તે થઈ ગયું કે જે સપ્ટેમ્બર-2013માં ભારતીય જનતા પક્ષે જાહેરાત કરી આ પાયા ઉપર ચણતરનું કામ શરૂ કર્યુ હતું. હા જી, 4 હજાર 609 દિવસ ગુજરાત ઉપર એકચક્રી શાસન કરનાર નરેન્દ્ર મોદી આજે 4 હજાર 610મા દિવસે અમદાવાદથી દિલ્હી રવાના થઈ ગયાં અને રવાના થતાં પહેલા બોલ્યાં - આવજો ગુજરાત.
7મી ઑક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર નરેન્દ્ર મોદીએ 2002 અને 2007ની વિધાનસભા ચૂંટણીઓ જીત્યા બાદ 2012ની ચૂંટણી જીતી હૅટ્રિક કરી. 20મી ડિસેમ્બર, 2012ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ત્રીજી વાર ચૂંટણી જીતી અને ત્યારથી જ તેમને વડાપ્રધાન બનાવવાના નારાઓ ગુંજવા લાગ્યાં અને આ નારાઓ 6 દિવસ પહેલા 16મી મે, 2014ના રોજ સાકાર થઈ ગયાં.
લોકસભા ચૂંટણી 2014માં બહુમતી પ્રાપ્ત કરતાની સાથે જ નરેન્દ્ર મોદીનું દિલ્હી પ્રયાણ નિશ્ચિત બની ગયું. આમ છતાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકેની શપથ લેતા પહેલા ગુજરાતના પોતાના તમામ બાકી કામો પૂર્ણ કરવાનું નહીં ચુક્યાં. ગુજરાતના બાકી કર્મો પૂર્ણ કરવા માટે જ તેઓ છેલ્લા પાંચ દિવસથી સતત સક્રિય હતાં અને આજે સાંજે તેઓ માતા હીરાબેનને મળ્યા બાદ ‘આવજો ગુજરાત' કહી દિલ્હી રવાના થઈ ગયાં.
ચાલો તસવીરો સાથે જોઇએ નરેન્દ્ર મોદીની ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસની છેલ્લી પ્રવૃત્તિઓ :

વડોદરાનો આભાર
લોકસભા ચૂંટણી 2014ના પરિણામ 16મી મે, 2014ના રોજ એટલે કે ગત શુક્રવારે જાહેર થયાં. બપોર બાદ જ્યારે સ્પષ્ટ થઈ ગયું કે ભાજપને બહુમતી મળવાની જ છે, ત્યારે નરેન્દ્ર મોદી સૌપ્રથમ પહોંચ્યા વડોદરા કે જ્યાંથી તેઓ 5 લાખ 70 હજાર કરતા વધુ મતોથી વિજયી થયા હતાં. નરેન્દ્ર મોદીએ વડોદરાના મતદારોનો આભાર વ્યક્ત કર્યો.

ગુજરાત મારૂ પિંડ
નરેન્દ્ર મોદી બીજા દિવસે 17મી મેએ વારાણસી ગયાં કે જ્યાંના મતદારોએ પણ તેમને પોણા ચાર લાખ મતોથી વિજયી બનાવ્યા હતાં, પરંતુ તેઓ 18મી મેના રોજ અમદાવાદમાં સભા કરવાનું ચૂક્યાં નહીં. ગુજરાતનું વહિવટી પાટનગર ભલે ગાંધીનગર હોય, પણ રાજકીય પાટનગર અને સમગ્ર ગુજરાતનું પ્રતિનિધિત્વ તો અમદાવાદ જ કરે છે. એટલે જ નરેન્દ્ર મોદીએ 18મી મેએ પાલડી-અમદાવાદમાં જાહેરસભા સંબોધી અમદાવાદથી સમગ્ર ગુજરાતનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેઓ આજે જે કંઈ છે, તે ગુજરાતના કારણે જ છે, ગુજરાત તેમનું પિંડ છે. અમદાવાદમાં સભા સંબોધતા પહેલા ઍરપોર્ટ ઉપર પણ મોદીએ અભિવાદન સ્વીકાર્યુ હતું.

મણિનગર પણ યાદીમાં
નરેન્દ્ર મોદી દિલ્હી જતા પહેલા પોતાના વિધાનસભા મતવિસ્તાર મણિનગરને પણ યાદ કર્યાં. મોદીએ 20મી મેના રોજ મણિનગર ખાતે જાહેરસભા સંબોધી અને 3-3 વાર ધારાસભ્ય ચૂંટવા બદલ મણિનગરના લોકોનો આભાર વ્યક્ત કર્યો.

વિધાનસભામાં સંબોધન
નરેન્દ્ર મોદીએ 21મીએ ગુજરાત વિધાનસભાના ખાસ સત્રમાં સંબોધન કર્યું. નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ગુજરાતના લોકો, ગુજરાતના તમામ ધારાસભ્યો, વિરોધ પક્ષનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેઓ આ ગૃહમાંથી ઘણુ બધુ શીખ્યાં છે. તેમણે વિરોધ પક્ષનો ખાસ આભાર વ્યક્ત કર્યો કે જેણે ખાસ સત્ર બોલાવવા માટે સંમતિ આપી.

મુખ્યમંત્રી પદેથી રાજીનામુ
નરેન્દ્ર મોદીએ દિલ્હી જતા પહેલા બે હોદ્દાઓ ઉપરથી રાજીનામા આપ્યાં. નરેન્દ્ર મોદીએ વિધાનસભાના ખાસ સત્ર બાદ રાજ્યપાલ ડૉ. શ્રીમતી કમલાને મળી મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું.

મુખ્યમંત્રીની પસંદગી
મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ નરેન્દ્ર મોદીએ સૌથી મહત્વની કામગીરી તરીકે નવા મુખ્યમંત્રીની પસંદગી કરી. નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાયેલ ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં આનંદીબેન પટેલને નવા નેતા ચૂંટવામાં આવ્યાં. અહીં પણ મોદીએ સંબોધન કરી લોકોને ભાવુક બનાવી દીધા હતાં.

ધારાસભ્ય પદેથી રાજીનામુ
ભાજપ વિધાનસભા પક્ષની બેઠક બાદ નરેન્દ્ર મોદીએ વિધાનસભા અધ્યક્ષ વજુભાઈ વાળાને મળી મણિનગરના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું.

અધિકારીઓ-કર્મચારીઓની મુલાકાત
નરેન્દ્ર મોદીએ ગઈકાલે દિવસભરના રાજકીય ઘટનાક્રમો બાદ મોડી સાંજે રાજ્યના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મુલાકાત ગોઠવી અને તેર વર્ષ દરમિયાન તેમના સાથ-સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો.

શપથવિધિમાં હાજરી
નરેન્દ્ર મોદીએ આજે બપોરે 12.39 વાગ્યે યોજાયેલ આનંદીબેન પટેલના શપથ વિધિ સમારંભમાં પણ હાજરી આપી. આ પ્રસંગે મોદી સાથે ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતાં. આમ નરેન્દ્ર મોદીએ પોતાના સ્થાને નવા મુખ્યમંત્રીને શપથ અપાવવાનુ છેલ્લુ કામ પણ આજે આટોપી લીધું.

માતાના આશીર્વાદ
મુખ્યમંત્રી આનંદીબેન પટેલના શપથ વિધિ બાદ નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા માતા હીરાબેન પાસે. નરેન્દ્ર મોદીએ દિલ્હી જતા પહેલા માતા હીરાબેનના આશીર્વાદ લીધાં હતાં. હીરાબેને આ પ્રસંગે મોદીને મિઠાઈ પણ ખવડાવી હતી. નરેન્દ્ર મોદી 16મી મેના રોજ પરિણામ આવ્યા બાદ પણ સૌ પ્રથમ માતાને જ મળવા પહોંચ્યા હતાં.

આવજો ગુજરાત
તમામ કર્મો પૂર્ણ થતાં જ નરેન્દ્ર મોદી સાંજે લગભગ સાડા ચાર વાગ્યે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યાં. મોદીએ ઍરપોર્ટ ઉપર મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાતના સંસ્મરણો વાગોળ્યાં. તેમણે મીડિયાનો પણ સાથ-સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો અને છેલ્લે માત્ર આટલું જ બોલ્યાં - આવજો ગુજરાત.

બિદાઈ કી ઘડી આઈ....
બિદાઈ કી ઘડી આઈ....












Click it and Unblock the Notifications
