અટલ સરકારે ન્યુક્લિયર પરિક્ષણનો દમ બતાવ્યો હતો : નરેન્દ્ર મોદી
રાષ્ટ્રીય તકનીકી દિવસના અવસરે નરેન્દ્ર મોદીએ જનતાને સંબોધિત કરતા જણાવ્યું કે અટલજીની સરકારે ન્યુક્લિયર પરીક્ષણ કર્યું તો સમગ્ર દુનિયાએ તમામ પ્રતિબંધની વ્યવસ્થા કરી હતી કે ભારત તબાહ થઇ જાય. તે દિવસ 11 મેનો હતો. ત્યારે કોંગ્રેસના મિત્રોએ એવું કહ્યું હતું કે આ અટલજી નહીં, વિજ્ઞાનીઓની કમાલ છે. એ ન્યુક્લિયર ટેસ્ટ વિજ્ઞાનીઓની જ કમાલ હતી, પરંતુ દુનિયાની નારાજગી અને આર્થિક પ્રતિબંધો છતાં 13 તારીખે ફરી કરવામાં આવેલા પરીક્ષણે એ સાબિત કરી દીધું કે ભારતમાં કેટલો દમ છે અને આ દમ અટલજીની સરકારમાં જ હતો.
મોદીએ જણાવ્યું કે 15 વર્ષ પહેલા જે ઇતિહાસ અટલજીની સરકારે રચ્યો હતોતેનાથી કાશ્મીરથી લઇને કન્યાકુમારી સુધી અને મણિપુરથી લઇને મહારાષ્ટ્ર સુધી દરેક વ્યક્તિને ગર્વનો અનુભવ થયો હતો. મોદીએ જણાવ્યું કે તે સમયે જે સાહસ અટલજીની સરકારે દાખવ્યું હતું, તેને દાદ આપવી જોઇએ. ભાજપના નેતૃત્વવાળી સરકારે બે વર્ષ પૂરા પણ કર્યા ન હતા અને આ સાહસિકતાનું પગલું ભરવાનું દમખમ બતાવ્યું હતું. આ પગલા સાથે ભાજપ સરકારે દેશને વાયદો કર્યો કે દેશના વિકાસની રાહમાં કોઇ બાધા આવવા નહીં દેવાય. તેમણે દેશ સમક્ષ કોઇ સમજુતિ પણ કરી ન હતી.
મોદીએ જણાવ્યું કે "આજે એ જ પરીક્ષણને 15 વર્ષ પૂરા થયા છે. ત્યારે મારા મનમાં એક પ્રશ્ન ઉભો થાય છે. આપણે સૈન્ય ઉપકરણ બનાવવાના બાબતે કેવી રીતે આત્મનિર્ભર બની શકીએ છીએ. આ માત્ર સૈન્ય શક્તિની બાબત નથી. આપણા પોતાના સૈન્ય ઉપકરણો માટે આ બાબત જરૂરી છે. એ પણ જરૂરી છે કે અન્ય દેશો આપણી પાસેથી ઉપકરણો ખરીદે. આપણે હજારો રૂપિયા વહેવડાવીને અન્ય દેશોથી સૈન્ય ઉપકરણ ખરીદવાને બદલે આપણે આપણી પોતાની ટેકનોલોજીને એટલી વિકસીત કરવાની છે કે અન્ય દેશો એ ટેકનોલોજી આપણી પાસેથી ખરીદે."
મોદીએ આગળ એમ પણ જણાવ્યું કે "ગુજરાતમાં અમે આ દિશામાં જ પહેલ કરી છે. અમે અમારી એન્જીનીયરિંગ કોલેજોમાં સૈન્ય ઉપકરણો બનાવવાની ટેકનોલોજીનો અભ્યાસ કરાવવા અંગેની વ્યવસ્થા અંગે પ્રયાસ કરી રહ્યા છીએ. વર્ષ 2013ના વાયબ્રન્ટ ગુજરાત સંમેલનમાં અમે આ અંગે ચર્ચા પણ કરી છે અને આ સંબંધનું કામ પ્રગતિમાં છે. આજે ટેકનોલોજી ડેના અવસરે અમે પોખરણ પરીક્ષણના એ દિવસને યાદ કરવો જોઇએ, જ્યારે દેશો પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું હતું."