‘મોદી મંથરા કરતાં પણ વધારે જુઠ્ઠાણું ફેલાવે છે'
ગુજરાત અને મહારાષ્ટ્રના લગભગ તમામ ગુજરાતી અખબારોમાં તા. ૨/પ/૧૨ના રાજ્યના ૧૬ લાખ કિસાનનું જીવનધોરણ સુધર્યું છે, તે દાવો કરતી જાહેરાત પ્રકાશિત થતાં લડાયક મંચે આ ૧૬ લાખ ખેડૂતની યાદી માહિતી અધિકાર હેઠળ માગી હતી. આ વિગતનો વ્યાપ વધારે હોવાનું કારણ આપી માહિતી પૂરી પાડવા માટે સામાન્ય વહીવટ વિભાગના ઉપસચિવે અસમર્થતા દર્શાવી હતી.
જેને પગલે કિસાનોના આંકડા અને તેમની પાછળ કરેલો કરોડોનો ખર્ચ રાજ્ય સરકારે કયાંથી મેળવ્યા તેવી વધુ એક માહિતી માગવામાં આવી હતી, પણ તેનો જવાબ આજ સુધી મળ્યો નથી તેવું કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશભાઇ જોશીએ જણાવતાં ઉમેર્યું હતું કે, સચિવાલયના એક અધિકારીએ પોતાનું નામ જાહેર ન કરવાની શરતે તેમને જણાવ્યું હતું કે, મોદીના કહેવા થકી સરકારે આપેલી જાહેરાત સાચી હોવાના કોઇ જ આધાર પૂરાવા છે જ નહીં. મુખ્યમંત્રી મોદી રામાયણ યુગની મંથરા કરતાં પણ વધારે જુઠ્ઠાણુ ફેલાવતા હોવાનું સાબિત થાય છે તેવું મંચના પ્રમુખે ઉમેર્યું હતું.