નરહરિ અમીન બળવાખોર બન્યા, કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામુ
આ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે "કોંગ્રેસમાં મેં અદના કાર્યકર અને આગેવાન તરીકે દિવસ-રાત કામ કર્યું છે. મને જે કામગીરી સોંપાઇ તે મારી તમામ તાકાત લગાવીને પાર પાડી છે. હું જ્યારે ઉપમુખ્યમંત્રી હતો ત્યારે જેમની રાજકીય કારકિર્દી શરૂ થઇ ન હતી આજે તેઓ મોટા નેતા બનીને પક્ષ માટે પરસેવો પાડનારાને અન્યાય કરી રહ્યા છે. મારી અવગણના થતા અને ટિકીટ નહીં ફાળવાતા મેં રાજીનામું આપ્યું છે. આ નિર્ણય મેં મારા મિત્રો સમર્થકો, કાર્યકરો સાથે ચર્ચા કરીને લીધો છે."
અમીને જણાવ્યું કે "મેં કોંગ્રેસના બધા પદ પરથી રાજીનામું આપ્યું છે પણ મારા સમર્થકો અને કાર્યકરોને મારા તરફથી કોઇ દબાણ નથી. આગામી દિવસોમાં મારે આગળ શું કરવું તે અંગેનો નિર્ણય મારા સાથીઓ સાથે ચર્ચા કરીને લઇશ. મને ખાતરી છે કે આ રીતે કોંગ્રેસ ગુજરાતમાં ક્યારેય સત્તા મેળવી શકશે નહીં. 20 ડિસેમ્બરે કોંગ્રેસને ખબર પડશે કે નરહરિ અમીને પક્ષ માટે શું કર્યું છે."
આજે કોંગ્રેસમાંથી નરહરિ અમીન ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા હિતેશ પટેલ, જયંતિ પરમાર સહિતના કોંગ્રેસના આગેવાનોએ પણ નરહરિ અમીનના સમર્થનમાં રાજીનામાં આપ્યાં છે.
આ વખતે કોંગ્રેસ દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના બંને તબક્કા પૈકી એક પણ વિધાનસભા મતવિસ્તાર માટે નરહરિ અમીનને ટિકીટ ફાળવવામાં આવી ન હતી. આ કારણે નારાજ અમીન આજે રાજીનામુ આપ્યું હતું.
બે દિવસ પહેલા નરહરિ અમીને એસ જી હાઇવે પર આવેલા પોતાના ફાર્મ હાઉસમાં કોંગ્રેસના અસંતુષ્ટોની સભા યોજી હતી. જેમાં કાર્યકરો, આગેવાનો અને સમર્થકો સાથે ચર્ચા કરીને તેમણે જાહેરાત કરી હતી કે તેઓ ગુજરાતમાં કોંગ્રેસને જીતાડવા માટે કામ નહીં કરે. ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાની જરૂર નથી. જે લોકોએ કોંગ્રેસના વફાદાર કાર્યકર્તા અને આગેવાનોને અવગણીને તેમનું અપમાન કર્યું છે, તેમને જીતાડવાનો પ્રયત્ન અમે નહીં કરીએ.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 સંબંધિત સમાચારો માટે અહીં ક્લિક કરો.