દુધમાં સાકર ભળે, તેમ ભાજપમાં ભળી જઈશું- નરહરિ અમીન
નરહરિ અમીને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી આ વખતે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસની વિકેટ પાડીને હેટ્રિક નોંધાવીને 2012માં સરકાર રચશે, પરંતુ આપણે 2014ની લોકસભાની ચૂંટણીનો ટાર્ગેટ બનાવવાનો છે. આપણે એવું કામ કરવાનું છે કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને.
નરહરિ અમીને જણાવ્યું હતું કે, રાત-દિવસ એક કરીને ગુજરાતની પ્રજાની સેવા કરી રહ્યા છે. તેવા મુખ્યમંત્રીની સરકારમાં હું એક કાર્યકર્તા તરીકે જોડાયો છું. મારા સાથીઓ પણ મારી સાથે જોડાયા છે. અમે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરીશું.
નરહરિ અમીને એમ પણ જણાવ્યું હતું કે, અમે ભાજપમાં દુધમાં સાકર ભળે, તે રીતે ભળી જઈશું અને કોંગ્રેસને હરાવવામાં મદદ કરીશું. આ વખતે કોંગ્રેસને 36 સીટ પણ નહીં મળે.
બુધવારે દિવસ દરમિયાન રાજ્યભરમાંથી આવેલાં આગેવાનો સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તેમની સાથે અમદાવાદ શહેર કોંગ્રેસના હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા છે.2012ની ચૂંટણીઓમાં જે રીતે ટિકિટની લાણી કરવામાં આવી છે તે જોતા લાગે છે કે, કોંગ્રેસ દ્વારા ખોટું પગલું ભરવામાં આવ્યું છે.
કોંગ્રેસે જિલ્લા અને તાલુકાઓમાં સારા ઉમેદવારોની ટિકિટ આપી નથી. નરહરિ અમીને જણાવ્યું હતું કે અમે ત્રણચાર દિવસ સુધી ચર્ચા-વિચારણા કરીને હું એક નાના કાર્યકરની હેસિયતથી ભાજપ સાથે જોડાયો છું.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે સંબોધન કરતાં જણાવ્યું હતું કે નરહરિ અમીનનું ભાજપમાં સ્વાગત છે. નરેન્દ્ર મોદીએ નરહરિ અમીનને ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા.