નરોડા પાટિયા કેસના દોષિત માયાબેન કોડનાનીને ટીબી રોગ
અમદાવાદ, 28 સપ્ટેમ્બર : નરોડા પાટિયા હત્યાકાંડમાં સાબરમતી જેલમાં કેદની સજા કાપી રહેલાં અને હાલ યુ એન મહેતા હોસ્પિટલમાં હૃદયની સારવાર લઈ રહેલાં માયાબહેન કોડનાનીને જેલમાં ટીબીની બીમારી લાગુ પડી હોવાનું અત્યંત વિશ્વસનીય સૂત્રોમાંથી જાણવા મળે છે.
યુ. એન. મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન માયાબહેનને ટીબી હોવાનું ખૂલ્યું છે. જોકે ટીબી ફેફસાંનો છે કે આંતરડાંનો એ કન્ફર્મ કરવા રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ગુજરાતના પૂર્વ પ્રધાન માયાબહેન કોડનાની નરોડા પાટિયા હત્યાકાંડના કેસમાં 28 વર્ષની જેલની સજા થતાં ભાંગી પડયાં છે. સજાના દિવસે 60 કિલોનાં માયાબહેન આજે 47 કિલો વજન ધરાવતાં થઈ ગયાં છે.
જેલમાં ભારે હતાશામાં તેઓ જીવી રહ્યાં છે. ડિપ્રેશનના કારણે તેમને જીવવામાંથી રસ ઊડી ગયો છે. દવાઓ પણ લેવાનું ટાળે છે. પરિણામે માયાબહેનની હાર્ટની બીમારી વધી ગઈ છે. જેલનો ખોરાક અનુકૂળ નહીં હોવાથી તેમની તબિયત વધુ કથળી છે. કેમ કે તેમને પરેજી પાળજી પડતી હોય છે. જેલવાસ દરમિયાન માયાબહેનને ટીબીની બીમારી લાગુ પડી હોવાનું બહાર આવ્યું છે.
ટીબીની ગંભીર બીમારીના કારણે માયાબહેનને યુ એન મહેતા હોસ્પિટલમાં વધુ લાંબો સમય રાખવામાં આવ્યાં છે. હાર્ટમાં દુખાવો થતાં માયાબહેન કોડનાનીને યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમને ઘણા લાંબા સમયથી હાર્ટની બીમારી હતી. યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન હાર્ટની બીમારી કરતાં ટીબીની બીમારી વધુ ગંભીર હોવાનું બહાર આવતાં માયાબહેનની સારવાર આઈસીયુમાં ચાલુ રાખવામાં આવી છે.
હજી કેટલોક વધુ સમય માયાબહેનને હોસ્પિટલમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. કેમ કે જો તેમને રજા આપી દેવામાં આવે અને જેલમાં ફરી એ જ કેદીઓનો ખોરાક અપાય તો ટીબીની બીમારી જીવલેણ બની શકે છે.