ગુજરાતમાં કોંગ્રેસ સાથેનું જોડાણ એનસીપી તોડી શકે : રાજ્ય NCP પ્રમુખ
રાષ્ટ્રીય સ્તરે શરદ પવારની અધ્યક્ષતાવાળા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત પટેલે (બોસ્કી) આજે ગુજરાતમાં કોંગ્રેસ સાથેના જોડાણનો અંત લાવવાની વાત ઉચ્ચારી હતી. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે એનસીપી બેઠકો પર કોંગ્રેસ સાથે જોડાણ કરવાને બદલે તમામ 182 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે.
કોંગ્રેસ સાથે બેઠક ફાળવણી મુદ્દે નાખુશ એનસીપી પ્રમુખ જયંત પટેલે દિલ્હીથી જણાવ્યું કે "ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં અમારે કોંગ્રેસ સાથે લિંબાયત, બાપુનગર, કુતિયાણા અને વાવ બેઠકોના મુદ્દે મતભેદ છે. આ બેઠકો પર કોંગ્રેસ સારો દેખાવ કરી શકે એમ નથી. જ્યારે અમને વિશ્વાસ છે કે અમારું સંગઠન આ બેઠકો પર સારું પ્રદર્શન કરી શકશે. પણ કોંગ્રેસ આ બેઠકો એનસીપીને આપવા માંગતી નથી."
જયંત પટેલ મંગળવારે સાંજે અમદાવાદ પરત ફરીને એનસીપીના આગેવાનો સાથે બેઠક ફાળવણી મુદ્દે ચર્ચા કરી, કોંગ્રેસ સાથે પોતાના જોડાણનું ભવિષ્ય નક્કી કરશે. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓ સાથે વાટાઘાટો ચાલુ રહેશે. હાલના તબક્કે અમે નક્કી કર્યું છે કે કોંગ્રેસ સાથે છેડો ફાડીને તમામ 182 બેઠકો પર ચૂંટણી લડવી.