રાજ્યના 18 શહેરોમાં નાઈટ કર્ફ્યુમાં છૂટ, વેપારીઓ માટે વેક્સીન કરી ફરજિયાત
રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થતાં સરકાર ધીમે ધીમે પ્રતિબંધોમાં છૂટ આપી રહી છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થતાં સરકાર ધીમે ધીમે પ્રતિબંધોમાં છૂટ આપી રહી છે. સરકારે રાજ્યના 18 શહેરોમાં લાગુ નાઈટ કર્ફ્યુ એક સપ્તાહ લંબાવ્યો છે પરંતુ તેમાં થોડી ઢીલ આપી છે.જો કે આ સાથે આ શહેરો માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં વેપારીઓ માટે ફરજિયાત રસીકરણનો નિયમ અમલી કરવામાં આવ્યો છે. વેપારીઓએ 30 જૂન સુધીમાં રસી ફરજિયાતપણે મૂકાવવી પડશે. વેપારીઓ, સંચાલકો, માલિકો અને તમામ સ્ટાફે 30 જૂન સુધીમાં રસી મૂકાવવી પડશે.
રાજ્ય સરકારે આ 18 શહેરો સિવાયના રાજ્યના અન્ય શહેરોના વેપારીઓને 10 જૂલાઈ રસી મૂકવાનુ ફરજિયાત કર્યુ છે. જે વ્યવસાયિકો કે વેપારીઓએ રસી નહિ મૂકાવી હોય તેમના પર કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. રાજ્ય સરકારે ચેતવણી આપી છે કે જો વેપારીઓએ સમયસર રસી નહિ મૂકી હોય તો તેમની દુકાનો બંધ કરી દેવામાં આવશે તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યુ છે. જો કે હાલમાં રાજ્યમાં લોકોમાં રસી મૂકાવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે રાજ્યના જે 18 શહેરોમાં કર્ફ્યુ લંબાવવામાં આવ્યો છે તેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગાંધીનગર, વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, ભરૂચ, ,પાટણ, મોરબી, ભૂજ અને ગાંધીધામનો સમાવેશ થાય છે.
કોવિડ-19ના કેસોમાં ઘટાડાને પગલે 24 જૂને રાજ્ય સરકારે પ્રતિબંધોમાં આપેલી છૂટમાં સિનેમા હોલ, મલ્ટીપ્લેક્સ અને ઑડિટોરિયમ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જે દુકાનો હાલમાં સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રહેતી હતી તેમાં હવે 9 વાગ્યા સુધીની છૂટ આપવામાં આવી છે. વળી, બસોની ક્ષમતા પણ વધારીને 75 ટકા કરી દેવામાં આવી છે. હોટલ અને રેસ્ટોરાં 60 ટકાની ક્ષમતા સાથે હવે સાંજે 7 વાગ્યાના બદલે રાતે 9 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.