"કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ઓબીસી ઇબીસી માત્ર શબ્દોની રમત"
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રતિક્રિયા. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને કહ્યો છેતરામણીનો ઢોલ. આ અંગે વધુ વાંચો અહીં...
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીએ 2017ની ચૂંટણીમાં ગુજરાતની જનતા સામે મુકેલો ઢંઢેરો એ છેતરામણીનો ઢોલ પીટવા સમાન છે. તેમણે ઢંઢેરામાં ઇબીસી અને રીઝર્વેશનના મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પાટીદારોને ઓબીસીની વાતો કરી અને ઇબીસીના નામે અવાસ્તવિક વાયદો કરી ગુમરાહ કરવાનો પુનઃ પ્રયાસ કરવામાં આવ્યો છે. કાયદાકીય રીતે અશક્ય વાત કરીને સમાજને છેતરવાનો પ્રયાસ કર્યો છે, જે નિંદનીય છે. પાટીદાર સમાજ અને બિનઅનામત વર્ગ કોંગ્રેસની આ પ્રકારની વાહિયાત વાતોથી ગેરમાર્ગે દોરાવાનો નથી.
નીતિન પટેલે કાયદાકીય જોગવાઇઓ ટાંકીને પોતાની વાત રજુ કરી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો હતો અને અનામત મુદ્દે સ્પષ્ટતા કરતા પુરાવા પણ રજૂ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોમવારે કોંગ્રેસે તેનો ચૂંટણી ઢંઢેરો રજૂ કર્યો હતો. જેમાં ખેડૂતોના દેવા માફ કરવાથી લઇને, પાણી અને વિજળી તથા પેટ્રોલ ભાવ ઘટાડવા જેવા મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. પણ પાટીદાર મામલે ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે, તેમણે આ ઢંઢેરામાં અનામત મામલે પાટીદારોને છેતર્યા છે.