નારાજ નીતિન પટેલ ભાજપમાં કરશે ભડકો? કેમ કરવી પડી સ્પષ્ટતા
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ભાજપથી નારાજ છે તેવા સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થયા છે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ભાજપથી નારાજ છે તેવા સમાચાર માધ્યમો અને સોશિયલ મીડિયામાં સમાચાર વહેતા થયા છે. જેને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અફવા ગણાવ્યા હતા. નીતિન પટેલે આ અહેવાલોને માત્ર અફવા ગણાવી હતી અને લોકોને તેને અવગણવા જણાવ્યું હતું. નીતિન પટેલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે,’મારી પ્રતિષ્ઠા અને વિશ્વસનિયતાને નુકસાન પહોચાડવા માટે ઉપજાવી કાઢેલા સમાચાર વહેતા થઇ રહ્યા છે. આ અફવાઓને સાચી માનવી નહીં’.
હાર્દિક પટેલ સાથે તસ્વીર થઇ વાઇરલ
ઉલ્લેખનિય છેકે, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની તસ્વીર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલની તસ્વીર સાથેનું એક પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઇરલ થયું છે. પોસ્ટરમાં નીતિન પટેલ અને હાર્દિક પટેલની તસવીર જોવા મળે છે. પોસ્ટરમાં એવું લખાણ છે કે નીતિન ભાઇ પાટીદાર મહાપંચાયતમાં સમર્થન કરવા અને ભાજપ છોડવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પોસ્ટર વાઇરલ થયા અગાઉ અગ્રણી વેબ પોર્ટલ્સમાં નીતિન પટેલનું કેબિનેટમાંથી હકાલપટ્ટી થઇ શકે છે. તેમજ, નારાજ નીતિન પટેલ ભાજપમાં બળવો કરી શકે તેવા સમાચાર વહેતાં થયા હતા.
— Nitinbhai Patel (@Nitinbhai_Patel) May 24, 2018 |
નીતિન પટેલે ફગાવ્યા આક્ષેપ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે હું ક્યારેય ભાજપ છોડવાનો નથી, હું ભાજપામાં છું અને ભાજપામાં જ રહીશ. ડેપ્યુટી સીએમ એ આ ઘટનાને સરકારની યોજનાથી બીજી તરફ ધ્યાન દોરવાનો કારસો ગણાવ્યો હતો. વધુમાં કહ્યું હતું કે, હાર્દિકની ન્યાય પંચાયત કોંગ્રેસ પ્રેરિત છે.
શું ખરેખર નીતિન પટેલ નારાજ ?
વિધાનસભા ચૂંટણી બાદ સરકારની રચના થઈ ત્યારે ખાતા ફાળવણીના મુદ્દે રિસાઈ ગયેલા નીતિન પટેલે શિસ્તબદ્ધ કહેવાતી ભાજપને વિમાસણમાં મુકી દીધી હતી. નીતિન પટેલ જૂથનો દાવો છે કે ભાજપની નેતાગીરી શિસ્તના નામે આંતરિક અવાજને કાયમ માટે દબાવી દેવાય છે, તેમનો આરોપ છે કે અમિત શાહ, નીતિન પટેલને પસંદ કરતા નથી. જેના કારણે નીતિન પટેલને કોઈપણ કારણોસર પ્રધાન મંડળમાંથી પડતા મુકવાનો નિર્ણય લેવાયો છે. પરંતું, જો નીતિન પટેલને કેબિનેટમાંથી પડતાં મુકાય તેની સાથે એક નવું જૂથ વિજય રૂપાણી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવી ભાજપની સરકારને લઘુમતીમાં મુકી શકે તેવી સ્થિતિનું નિર્માણ કરવાનો ઇરાદો છે. જો, આ પરિસ્થિતિ સર્જાય તો, ભાજપમાં આતરીક બળવો અને વિખવાદ બહાર આવી શકે છે.
ભાજપમાં થઇ શકે છે બળવો ?
નીતિન પટેલને આનંદીબેન પટેલના રાજીનામાં બાદ મુખ્યપ્રધાન બનવાની પ્રબળ સંભાવના હતી. પરંતું, છેલ્લી ઘડીએ હાઇકમાન્ડે તેમનું પત્તુ કાપીને વિજય રૂપાણીની પસંદગી કરી હતી.શું ખરેખર નીતિન પટેલ ખરેખર નીતિન પટેલની નારાજગી તેમને મુખ્યમંત્રી બનાવ્યા નહીં ત્યારથી શરૂ થઇ છે. પરંતું, શું ખરેખર નીતિન પટેલ ભાજપ છોડવાનો નિર્ણય કરી શકે ખરા. આ સવાલ પણ રાજકીય અગ્રણીઓમાં ચર્ચાઇ રહ્યો છે. ભાજપમાં અને જમીની સ્તર પર મજબુત વર્ચસ્વ ન ધરાવતાં નીતિન પટેલ બળવો કરે તો પણ ખાસ ફરક પાડવાની સ્થિતિમાં નથી. પરંતું, પાતળી બહુમતિથી સત્તામાં આવેલા ભાજપને અન્ય સભ્યો ભિંસ વધારી શકે છે.
ભાજપ લેશે આત્મઘાતી નિર્ણય ?
જોકે, નીતિન પટેલ આ પ્રકારના તમામ અહેવાલને રદ્દીયો આપી ચુક્યા છે. એ પણ, હાર્દિક સાથે પોસ્ટર વાઇરલ થયા બાદ ગત રોજ મોડી સાંજે રદ્દીયો આપ્યો છે. જ્યારે, ભાજપના કોઇ નેતાએ આ અંગે પ્રતિક્રિયા આપી નથી. ત્યારે, શું ખરેખર બળવો કરીને નીતિન પટેલ રાજકારણમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા પ્રયાસ કરે છે કે, સામે ચાલીને ભાજપમાં પોતાનું બલિદાન આપે છે. ભાજપ નીતિન પટેલને પડતાં મુકવાનો આત્મઘાતી નિર્ણય કરશે કે કેમ તે હવે સમય જ બતાવશે.