ભારતની સુરક્ષા મુદ્દે બાંધછોડ નહીં, પાકિસ્તાન સુધરશે તો જ વાતચીત : રાજનાથ સિંહ
ભુજ, 11 સપ્ટેમ્બર : આજે બારતના ગૃહ મંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં આવેલી દેશની કચ્છ સ્થિત સરહદ પરની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા પહોંચ્યા હતા. રૂબરૂ મુલાકાત લઇ અને જવાનો સાથે વાતચીત કર્યા બાદ તેમણે આગામી સમયમાં લેવાનારા મહત્વના નિર્ણયો વિશે વાત કરી હતી. કચ્છની ભૂમિ પરથી રાજનાથ સિંહે લલકાર્યું હતું કે ભારતની સુરક્ષાના મુદ્દે પાકિસ્તાન સાથે કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.
ગુજરાતની કચ્છ સરહદની સાથે પાકિસ્તાનનાં સિંધ પ્રાંતને જોડતી સિરક્રીક સરહદનો વિવાદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન ચર્ચી રહ્યું છે. કચ્છનાં લખપત પાસે આવેલ સિરક્રિકે એ ભારતીય સરહદનો જ એક ભાગ છે એવું કચ્છ અને સિંધ સાથેનાં કરારો હોવાનું કચ્છના રાજવી પરિવારે સ્પષ્ટ કર્યુ છે અને તે અંગેના કરારની વિગતો પણ ગેજેટમાં હોવાની સ્પષ્ટતા રાજનાથ સિંહે કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે પ્રથમ જ વાર સ્પષ્ટ શબ્દોમાં સિરક્રિકની સરહદ નજીકથી જણાવ્યું હતું કે દેશની સુરક્ષાને લઇને સિરક્રિક મુદ્દે પાકિસ્તાન સાથે કોઇ બાંધછોડ નહી થાય. સરહદ પર રહીને દેશની સુરક્ષા કરતા જવાનોનો હોંસલો બુલંદ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે જવાનોની જેમ જ કેન્દ્ર સરકાર પણ દેશનાં સ્વાભિમાનની રક્ષા માટે તત્પર છે. સુરક્ષા માટે જવાનોને જે કંઇ સુવિધા આપવી પડે તે માટે સરકાર તૈયાર છે.

તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રની ભાજપા સરકાર સૈન્યની સુવિધાઓ વિકસાવવા માટે સતત નવા પ્રોજેકટ હાથ ધરી રહી છે. દેશની સુરક્ષાને પ્રાધાન્ય આપવા કેન્દ્ર સરકાર મક્કમ છે તેનો ઉલ્લેખ કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહે કચ્છની ક્રીક સરહદે દરિયામાં રૂપિયા 130 કરોડના ખર્ચે મુરીંગ સ્ટેશન (અંદર જેટી) બનાવવાની જાહેરાત કરી હતી.
આ કામગીરી ગુજરાત મેરી ટાઇમ બોર્ડ કરશે. અઢી વર્ષમાં જેટી પુર્ણ થઇ જતાં કચ્છની અટપટી ક્રીક અને દરિયાની અંદર જવાનો બોટ દ્વારા સુરક્ષા માટે તૈનાત રહી શકશે. અત્યારે આ સુવિધાના અભાવે સુરક્ષામાં કચાશ રહે છે.
રાજનાથ સિંહે જણાવ્યું કે ભારત સાથેની શાંતિનો ભંગ કરીને પાકિસ્તાન દ્વારા કરાતા હુમલાને સહન કરવામાં આવશે નહીં. તેની સામે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ અપાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબંધો સુધારવાની કરેલી પહેલ પછી પણ પાક લશ્કર દ્વારા કરાઈ રહેલા ગોળીબાર અને હુમલાની ઘટનાની તેમણે નિંદા કરી હતી.
તેમણે જણાવ્યું કે દેશમાં વિસ્તરી રહેલી નકસલવાદની સમસ્યા હિંસક બની રહી છે ત્યારે નકસલ પ્રભાવિત વિસ્તારો અને નકસલવાદની સમસ્યા માટે કામ કરતી સંસ્થાઓ સાથે શુક્રવારે દિલ્હીમાં બેઠક યોજાઈ રહી છે.
ગૃહ મંત્રી રાજનાથ સિંહે આજે લખપતમાં બીએસએફની બોર્ડ આઉટ પોસ્ટ બીઓપીનું ઉદઘાટન કર્યા બાદ રણની સરહદે આવેલા વીઘાકોટ પહોંચ્યા હતાં. અહીં સૈનિક સંમેલન ને સંબોધના કર્યા બાદ તેમણે જવાનો સાથે 'બડાખાના' (ભોજન)માં ભાગ લીધો હતો.












Click it and Unblock the Notifications
