'વિશ્વના ટોપ 10 પર્યટન સ્થળોમાં ગુજરાતનો સમાવેશ'
ગાંધીનગર, 2 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસન ક્ષેત્રે ભારતની સૌથી મોટી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ઇવેન્ટનું મહાત્મા મંદિર ગાંધીનગરમાં ઉદ્ઘાટન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત પ્રવાસનની વિકાસયાત્રા ધોલાવીરાથી ધોલેરા સુધીની વૈભવી વિરાસત છે. સમાજ જીવનની બધી જ આધ્યાત્મિક વિરાસતો હિંદુ, પારસી, બુધ્ધ, શીખ અને જૈન સહિતની બધી જ પરંપરાના શ્રધ્ધા કેન્દ્રો ગુજરાત પ્રવાસનની ધરોહર બની રહેવાના છે એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રવાસનના આંતરરાષ્ટ્રીય નકશામાં ઝડપથી ઉપસી રહેલા ગુજરાતમાં રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના ઉપક્રમે છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારની આંતરરાષ્ટ્રીય ‘‘ગુજરાત ટ્રાવેલ માર્ટ'' યોજવામાં આવે છે. આ વર્ષે આજથી બે દિવસ માટે શરૂ થયેલી આ ટ્રાવેલ-ઇવેન્ટ ભારતની સૌથી મોટી ટુરિઝમ ટ્રાવેલ એજન્ટોની B2B ઇવેન્ટ છે. જેમાં ભારતના 15 રાજ્યો સહિત દુનિયાના 32 દેશોના 125 જેટલી ટુરિઝમ, ટુર્સ-ટ્રાવેલ્સ એન્ડ હોસ્પીટાલિટી ક્ષેત્ર સાથે જોડાયેલા ટ્રાવેલ ઓપરેટર્સ, ટુર્સ ટ્રાવેલ એસોસિયેશનો રાજ્ય સરકારના ટુરિઝમ કોર્પોરેશનના કુલ 800 ડેલીગેટ ભાગ લઇ રહ્યા છે બે વર્ષમાં ગુજરાતની પ્રવાસીઓની સંખ્યામાં 54 લાખ પર્યટકોનો વધારો થયો છે અને ભારતમાં પ્રવાસનનો વૃધ્ધિદર 7 ટકા છે ત્યારે ગુજરાતનો ગ્રોથ રેઇટ બમણો એટલે કે 16 થઇ ગયો છે.
ગુજરાત સરકાર માટે પ્રવાસન એ પ્રાથમિક અગ્રીમતાનું ક્ષેત્ર છે એમ જણાવી નરેન્દ્ર મોદીએ 2004 પહેલા ગુજરાતનું પ્રવાસન ક્ષેત્રનું બજેટ માત્ર રૂા.30 કરોડ હતું જે અત્યારે 500 કરોડ રૂપિયા ઉપર પહોંચી ગયું છે તેની ભૂમિકા આપી હતી. ગુજરાતના પ્રવાસન વિકાસની સંભાવનાઓ ઉપર વિશ્વના ટ્રાવેલર્સનું ધ્યાન કેન્દ્રીત થયું છે એમ તેમણે જણાવ્યું હતું.
કચ્છના રણોત્સવની સાફલ્યગાથાનો ઉલ્લેખ કરી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભૂતકાળમાં કચ્છનું રણ એ સંકટ હતું તે આજે સમૃધ્ધિ માટેનું હિન્દુસ્તાનનું તોરણ બની ગયું છે. કચ્છનો નેગેટીવ ગ્રોથ આજે હાઇએસ્ટ એન્ડ ફાસ્ટેસ્ટ ડેવલપ્ડ ડીસ્ટ્રીકટ ગ્રોથ બની ગયો છે. આ ઉપરાંત કચ્છમાં લખપત ગુરૂદ્વારાની શીખ ધર્મની પરંપરા સહિત પૂજ પ્યારેની વિરાસત ગુજરાતમાં છે અને જૈન ધર્મના પાલીતાણા સહિતના કેન્દ્રો પણ આધ્યાત્મિક પ્રવાસનનું આકર્ષણ બની રહ્યા છે.
ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પણ ખેતીવાડી વિકાસના નવા અનેક પ્રયોગો થયા છે તેની એગ્રો ટુરિઝમની સરકીટ અને બાળકો માટે કિડ્સ ટુરિઝમ વિકસાવાની સંભાવના માટે પણ મુખ્યમંત્રીશ્રીએ પ્રેરક ભૂમિકા આપી હતી.
વર્ષ 2006માં ગુજરાતે પ્રવાસન વર્ષની ઉજવણી કર્યા પછી ગુજરાત આખુ હવે પ્રવાસન મૈત્રીપૂર્ણ રાજ્ય બની ગયું છે. ‘અતિથિ દેવો ભવઃ'ના સમાજ સંસ્કાર ધરાવતા ગુજરાતમાં વર્ષે સવા બે કરોડ પર્યટન પ્રવાસીઓ ગુજરાતની ભવ્ય પ્રવાસન વિરાસતનો વૈભવ ધરાવતી ભૂમિમાં આવે છે. પ્રવાસન ક્ષેત્રની વિશ્વખ્યાત મેગેઝીન LONELY PLANET માં ગુજરાતને વિશ્વના પ્રથમ દશ પર્યટન સ્થાનોમાં મૂક્યું છે.
નરેન્દ્ર મોદીએ ગુજરાતની આતિથ્ય સત્કારની ભાવના અને વાઇબ્રન્ટ ઉત્સવપ્રેમી સમાજની વિશેષતા દર્શાવતા જણાવ્યું કેપ્રવાસન ક્ષેત્રે વિશ્વમાં ક્યાંય નથી એવું વિરલ વૈવિધ્ય ગુજરાતની ભૂમિમાં છે. પરંતુ દશ વર્ષ પહેલા ગુજરાતનું ભારતના પ્રવાસન નકશામાં ક્યાંય નામ નહોતું પણ આજે ગુજરાત ટુરિઝમ-ફ્રેન્ડલી સ્ટેટ બની ગયું છે.
કચ્છના રણમાં સફેદ રણમાં ચાંદની સૌંદર્યથી વિશ્વના પ્રવાસીઓ રણોત્સવમાં આવીને અભિભૂત થઇ જાય છે અને પાકિસ્તાન સાથેની સરહદે આવેલા અંતરિયાળ ગામની આ રણોત્સવની સફળતાએ સમૃધ્ધિની અનેક દિશાઓ ખોલી દીધી છે તેનું પ્રેરક દ્રષ્ટાંત આપતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગુજરાતમાં પર્યટન વિરાસતોને અપાર વૈભવ છે. દક્ષિણ ગુજરાતમાં પારસીઓની પવિત્ર સાંસ્કૃતિક અગિયારી-ઉદવાડાને પારસીઓની વિરાસત તરીકે વિકસાવવાની નેમ તેમણે વ્યકત કરી હતી.
નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગુજરાતમાં બુધ્ધ ધર્મની ઐતિહાસિક વિરાસત છે એવું કાંઇ જણાતું નહોતું પરંતુ છેલ્લા એક દશકામાં દેવની મોરી અને વડનગર સહિત ભગવાન બુધ્ધના અવશેષો અને બૌધ્ધ ધર્મની ધરોહરનો ઇતિહાસ ઉપલબ્ધ કર્યો છે. ગુજરાત બુધ્ધિષ્ટ ટુરિઝમ સરકીટ પણ શરૂ કરવા તત્પર છે. આદિવાસી ક્ષેત્રો, સાપુતારા અને અરવલ્લી હીલ્સમાં ઇકો ટુરિઝમના વિકાસનું વ્યાપક ફલક ઉપર આયોજન કર્યું છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતની ભૂમિ વિશ્વના યાયાવર પંખીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે અને થોળ તળાવમાં યાયાવર વિદેશી પંખીઓનું તીર્થ ક્ષેત્ર નળ સરોવર અને કચ્છ પછીના પંખી-દર્શક પ્રવાસીઓ માટેના નવા પર્યટન ક્ષેત્રો છે. ગુજરાતે જ ગયા વર્ષે ગ્લોબલ બર્ડ વોચર્સ કોન્ફરન્સ સફળતાપૂર્વક યોજી હતી, હવે ગુજરાતમાં વન્ય પ્રાણી-પશુપંખી સૃષ્ટિના વસવાટના સ્થળો, સમુદ્રકાંઠાના મરીન ટુરિઝમ, રિલીજીયસ ડેસ્ટીનેશન સહિત ડોમેસ્ટીક ટુરિઝમનું ગુજરાત ઉત્તમ પર્યટન સ્થળ બની રહ્યું છે.
ગુજરાતમાં ફિલ્મ શુટીંગના અનેક ફેવરીટ લોકેશનો ચલચિત્ર નિર્માતાઓ માટે અનેરા આકર્ષણ બનેલા છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વ્હેલ-શાર્કની દરિયાઇ પ્રાણી વન્ય સૃષ્ટિએ પણ ગુજરાતના પ્રવાસન વૈભવમાં પોતાનું સ્થાન મૂકરર કર્યું છે અમે તેમણે જણાવ્યું હતું. પ્રવાસન મંત્રી સૌરભભાઇ પટેલે ગુજરાતના પ્રવાસન વૈવિધ્યની વિશદ ભૂમિકા આપી હતી અને દેશ-વિદેશના પ્રવાસન-ટ્રાવેલ-ટુરિઝમ ઉદ્યોગ સાથે સંકળાયેલા અને ગુજરાત ટ્રાવેલ માર્ટમાં ભાગ લઇ રહેલા સૌને મહાત્માની ભૂમિમાં આવકાર્યા હતા. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતના સર્વાંગી વિકાસની સફળયાત્રામાં પ્રવાસન ક્ષેત્ર પણ હવે વિશ્વના પ્રવાસન નકશામાં અવ્વલ સ્થાન પામ્યું છે તેનો હર્ષ તેમણે વ્યકત કર્યો હતો.
સૌરભભાઇ પટેલે ગુજરાતે પ્રવાસન વિરાસત, હેલ્થ ટુરિઝમ, સ્પીરિચ્યુઅલ ટુરિઝમ સહિતના પ્રવાસન ક્ષેત્રોના સુગ્રથિત વિકાસ માટે અપાવેલા નવતર આયામોથી રોજગાર નિર્માણના અવસરો તથા ગ્રામીણ હસ્તકલા કારીગરોના પરિવારોમાં આર્થિક ઉન્નતિનો નવો પ્રકાશપૂંજ ફેલાયો છે તેમ પણ જણાવ્યું હતું. આ પ્રસંગે પ્રવાસન નિગમના અધ્યક્ષ કમલેશ પટેલ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કે.કૈલાસનાથન, પ્રવાસન સચિવ વિપુલ મિત્રા, પ્રવાસન નિગમના મેનેજીંગ ડિરેકટર સંજય કૌલ તથા દેશ-વિદેશના પ્રવાસન ટુરિઝમ ક્ષેત્રના વ્યવસાયકારો, ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં પ્રવાસન સચિવ વિપુલ મિત્રાએ સૌને આવકાર્યા હતા તથા સમાપને પ્રવાસન નિગમના મેનેજીંગ ડીરેકટર સંજય કૌલે ઋણ સ્વીકાર કર્યો હતો.













Click it and Unblock the Notifications
