હવે લગ્નોમાં આટલા માણસોને છુટ, ગાઈડલાઈનમાં આ વસ્તુઓ બદલાઈ!
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગરમાં કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. સરકારે લગ્ન સહિતની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યા છે.
ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગરમાં કોર કમિટિની બેઠક મળી હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. સરકારે લગ્ન સહિતની ગાઈડલાઈનમાં ફેરફાર કર્યા છે. હવે રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ ૩૦૦ લોકોની હાજરીમાં યોજવાના રહેશે.
કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જે અતર્ગત હવે રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં ૩૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે.
કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ, રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ ૧૧ ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે. આ સિવાય હોટેલ્સ-રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. તે ઉપરાંત હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે તે સિવાય સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૯ નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ ૪ ફેબ્રુઆરીથી રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફયુની હાલની જે અવધિ ૦૪ ફેબ્રુઆરીએ સવારે ૬ વાગ્યે પૂર્ણ થાય છે તે લંબાવીને ૧૧ ફેબ્રુઆરી સુધીની કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકાની અન્ય બાબતો આગામી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના સવારે ૦૬:૦૦ સુધી અમલમાં રહેશે.