હવે જિલ્લામાં જ થશે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ, નહીં થાય રાજ્ય સ્વાગતમાં ધક્કો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે કે, ખેડૂત ખાતેદારો, સામાન્ય નાગરિકોને પોતાની નાની-નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગત સુધી આવવું જ ન પડે, તેવી સમસ્યા નિવારણ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરવામાં આવે.
આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, સંપાદનમાં ગયેલી જમીન અંગેનું ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર મેળવવા, વળતર રકમની વિસંગતતા તથા જાહેર રસ્તા પર થયેલા દબાણ હટાવવા જેવા પ્રશ્નોનું નિરાકરણ જિલ્લા સ્વાગતમાં સ્થાનિક વહીવટી તંત્ર જ લાવી દે તો સામાન્ય માનવી, ગ્રામીણ ખેડૂતોને ગાંધીનગર રાજ્ય સ્વાગતમાં આવવાની જરૂરિયાત જ ન ઉભી થાય.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં રજૂઆત માટે આવેલા અરજદારોની રજૂઆત સાંભળી, તેના ત્વરિત અને યોગ્ય નિવારણ માટે કલેક્ટરો-વિકાસ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ, મહેસુલ, પંચાયત, ગૃહ વિભાગના તેમજ ગેરકાયદે બાંધકામ દૂર કરવું તથા રહેઠાણ પાસે ગટર લાઈન અને પાકો રસ્તો બનાવી આપવા જેવા વિષયોને સ્પર્શતા પ્રશ્નો રજૂ થયા હતા.
આ સાથે મુખ્યમંત્રીએ ઓઇલ કંપનીની પાઇપ લાઇન નાખવામાં અસર થતા બનાસકાંઠાના 800 જેટલા ખેડૂતોને વળતર ચૂકવવા અંગેના પ્રશ્ને જરૂરી સૂચનાઓ આપી આ પ્રશ્ર્ન હલ કરાવ્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગેરકાયદે બાંધકામ, છેતરપિંડી, જમીન માપણીની ક્ષતિઓ જેવી બાબતોમાં સખતાઈથી કામ લેવા પણ જિલ્લા વહીવટી તંત્રોને તાકીદ કરી હતી.
દર મહિનાના ચોથા ગુરુવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નિયમિતપણે યોજવામાં આવતા સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણની આજની કડીમાં 12 જેટલા પ્રશ્નો રજૂ થયા હતા. ઓગસ્ટ મહિના દરમિયાન જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ-5010 રજૂઆતો માંથી 77.58 ટકા એટલે કે 3887 રજૂઆતોનું સુખદ નિવારણ લાવી દેવાયું છે.
આ રાજ્ય સ્વાગતમાં ગાંધીનગરથી મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. રાજ્યના જિલ્લાઓના કલેક્ટર, ડીડીઓ તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા.












Click it and Unblock the Notifications
