કેશુબાપાને મનાવવા ગુજરાત BJP શા માટે ફિલ્ડિંગ ભરે છે?
અમદાવાદ, 8 ઓગસ્ટ : છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના રાજકારણમાં ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2014માં ભાજપના પીએમ પદના ઉમેદવાર ઘોષિત થયા બાદ પોતાની રાજકીય તાકાત વધારવા માટે સક્રિય બન્યા છે. આ માટે તેઓ પોતાનાથી નારાજ જુના સાથીઓને ફરી એકવાર સાથે લઇને આગળ વધવા માંગે છે. આ માટે ભાજપના પૂર્વ નેતા, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નામ સૌથી આગળ હતું. નરેન્દ્ર મોદી તેમને ભાજપમાં પાછા લઇ આવશે તેવી અટકળો પણ વહેતી થઇ હતી. જો કે કેશુભાઇ પટેલે ભાજપમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે.
ગુજરાતના રાજકારણમાં ચાલી રહેલી અટકળોને પગલે સોમવારે કેશુભાઇ પટેલના ઘરે જીપીપીની બેઠક મળી હતી. જીપીપી કોર ગ્રુપની બેઠક બાદ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કેશુભાઇ પટેલ ભાજપમાં જોડાવાની કોઇ ઇચ્છા ધરાવતા નથી. આ ઉપરાંત બેઠકમાં ભાજપામાં વિલીનીકરણ કે પ્રવેશના મામલે પણ નનૈયો ભણવામાં આવ્યો હતો.
આ મુદ્દે જીપીપીના મહામંત્રી ગોરધન ઝડફિયાએ કહ્યું કે કેશુભાઇ પટેલ જીપીપીના અધ્યક્ષ છે અને રહેશે. ભાજપામાં પ્રવેશનો સવાલ જ ઊભો થતો નથી. પાર્ટીને વધુ મજબૂત કરવા માટે પાર્ટી રાજ્યમાં થયેલી અતિવૃષ્ટિથી થયેલી પાયમાલી અને કેગના અહેવાલના મામલે સરકારના કહેવાતા વિકાસના ગુબ્બારા સામે રાજ્યવ્યાપી કાર્યક્રમો દ્વારા લોકો સમક્ષ જઇને સાચી પરિસ્થિતિ પહોંચાડશે.
ગુજરાત ભાજપે કેશુબાપાને મનાવવા માટે શા માટે તેમની મસ્કાપોલિશ કરવાની જરૂર પડી રહી છે તેના આ રહ્યા કારણો...

ભાજપનું ગણિત શું છે?
નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની સૌથી વધુ 149 બેઠકો જીતવાના કોંગ્રેસના વિક્રમને તોડવા માટે ભાજપે 2012ની વિધાનસભા ચૂંટણીમાં પોતાની પૂરી તાકાત લગાવી હતી, પણ તેમની આ મહેનત પર કેટલેક અંશે કેશુભાઇ પટેલ ફેક્ટરે પાણી ફેરવ્યું હતું. હવે આ નુકસાન સહન કરવાને બદલે સાથે મળીને ફાયદો મેળવવાનું ભાજપનું ગણિત છે.

લોકસભામાં 20 બેઠક મેળવવાનું ટાર્ગેટ
લોકસભાની ચૂંટણી 2014માં ગુજરાતમાં 26માંથી 20થી વધુ બેઠકો મેળવવી હોય તો ભાજપે કેશુભાઇને સાથે લેવા જ પડે તેમ હોવાથી મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેમને મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાની અટકળો વચ્ચે આજે કેશુભાઇના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને જીપીપીએ ખાસ બેઠક બોલાવીને આ આખી વાતને નકારી હતી.

ભાજપને વાસ્તવિકતાનું ભાન થયું
ભાજપાને પાયામાંથી ઊભો કરનારા નેતાઓ પૈકીના એક એવા કેશુભાઇ પટેલે બળવાનો બૂંગિયો ફૂંક્યા બાદ 2012 માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવીને ભાજપાના 150ના વિજયલક્ષને ખાળવામાં કોઇ કસર છોડી નહોતી. જીપીપીના માત્ર બે જ ઉમેદવારો જીત્યા હતા, પરંતુ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાજપાના મતોનું વત્તા-ઓછા પ્રમાણમાં ધોવાણ થયું હતું.

કેશુબાપા ફેક્ટર ક્યાં નડ્યું?
મોદીથી રીસાયેલા કેશુબાપાને કારણે જ 2009ની લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની આઠ બેઠકોમાંથી ભાજપને ચાર અને કોંગ્રેસને ચાર એમ કટોકટનું પરિણામ આવ્યું હોવાનું પણ કેટલાક રાજકીય વિશ્ર્લેષકો માની રહ્યાં છે.

વિઠ્ઠલભાઇનો જાદુ ના ચાલ્યો
ભાજપાએ કેશુભાઇની વિદાયથી પડેલું ‘પાટીદાર નેતા'નું ગાબડું પૂરવા માટે ગત વિધાનસભાની ચૂંટણી બાદ સૌરાષ્ટ્રના બળવાન પટેલ નેતા વિઠ્ઠલ રાદડીયાને કોંગ્રેસમાંથી પાણીચું અપાવીને ભાજપામાં લાવવા પડયા હતા પરંતુ હજુ કોઇ કચાશ રહેતી હોવાનું માનીને હવે કેશુભાઇ પટેલને મનાવવાના પ્રયાસો કરવામાં આવી રહયા હોવાનું જાણવા મળે છે.

કેશુબાપાને મનાવવા ભાજપના સતત પ્રયાસ
ભાજપાના પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુએ કેશુભાઇ પટેલને ભાજપા આવકારે છે એવું કહીને કેશુબાપાના ભાજપા પ્રવેશના ફુગ્ગામાં હવા ભરી હતી. આ ઉપરાંત તાજેતરમાં જ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 64મા જન્મદિને પરંરાગત રીતે કેશુભાઇના ઘરે જઇને તેમના આશિર્વાદ મેળવ્યા હતા ત્યારે કેશુભાઇએ તેમના પુત્ર ભરત પટેલને ભાજપામાં સ્થાન આપવાની વાત કરી હોવાની ચર્ચા શરૂ થઇ હતી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
