ઓપી કોહલીએ ગાંધીનગરમાં ગુજરાતના 24મા રાજ્યપાલ તરીકે શપથ લીધા
ગાંધીનગર, 17 જુલાઇ: ગુજરાતના નવા નિમાયેલા રાજ્યપાલ ઓ પી કોહલીનો શપથવિધિ સમારંભ બુધવાર, 16 જુલાઇ, 2014ના રોજ સાંજે રાજ્યના પાટનગર ગાંધીનગરના ટાઉનહોલમાં યોજાયો હતો.
આ સમારંભમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્યએ ઓ પી કોહલીને રાજ્યપાલ પદના શપથ અપાવ્યા હતા. આ શપથવિધિ થતા જ કોલહીએ સત્તાવાર રીતે પૂર્વ રાજ્યપાલ ડૉ. કમલા બેનિવાલનું સ્થાન લીધું હતું. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, વિધાનસભા અધ્યક્ષ વજુભાઇવાળા વગેરેએ તેમને અભિનંદન આપ્યા હતા.
નોંધનીય છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર આવ્યા બાદ પૂર્વ રાજ્યપાલ કમલા બેનિવાલની મિઝોરમ બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજસ્થાનના રાજ્યપાલ માર્ગારેટ અલ્વાને ગુજરાતના રાજ્યપાલ પદનો વધારાનો કાર્યભાર સોંપાયો હતો.
રાષ્ટ્રપતિ તરફથી સોમવારે ગુજરાતના નવા રાજ્યપાલની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં રાજ્યપાલ તરીકે દિલ્હી ભાજપના વરિષ્ઠ નેતા ઓ પી કોહલીના નામની જાહેરાત કરવામાં આવી હતી.
ગુજરાતના રાજ્યપાલ પદે તેમના નામની જાહેરાત થયા બાદ એક નિવેદનમાં કોહલીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલનું પદ ખુબ ગરિમાશાળી હોય છે. રાજ્યપાલે કાયદાની મર્યાદામાં રહેવાનું હોય છે. તેમની જવાબદારી બંધારણનું રક્ષણ કરવાની હોય છે.
નોંધનીય છે કે કોહલી દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ શિક્ષક રહી ચૂક્યા છે. તેમના ટ્વીટ્સ અને તેમના બ્લોગ્સ પરથી જાણવા મળે છે કે તેમને શિક્ષણ અને યુનિવર્સિટી બાબતોમાં વધારે રસ છે. કોહલીએ ટ્વીટર પ્રોફાઇલમાં જણાવ્યું છે કે તેઓ વર્ષ 1991થી ભાજપ સાથે સંકળાયેલા છે.