સુરતમાંથી પકડાયેલુ 1400 કિલો પનીર નકલી, લેબ રિપોર્ટમાં ખુલાસો
સુરતમાં ખાણીપીણીમાં ભેળસેળ કરનારા તત્વો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયેલા 1,400 કિલો શંકાસ્પદ પનીરનો લેબ રિપોર્ટ જાહેર થયો છે.
આ લેબ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે પનીરમાં ખતરનાક એસિડનો ઉપયોગ થયો હતો. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ આ જથ્થાને ખાવા માટે અયોગ્ય જાહેર કર્યો છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે પનીરમાં દૂધની ચરબીને બદલે પામ ઓઈલ વપરાયું હતું. કુદરતી તત્વોને બદલે વનસ્પતિ તેલ અને ઔદ્યોગિક એસિડના પુરાવાઓ લેબમાં મળી આવ્યા છે.
પનીરને જલ્દી બનાવવા અને ખર્ચ ઘટાડવા માટે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસેટિક એસિડનો ઉપયોગ કરાયો હતો. આ પ્રકારનું કેમિકલ યુક્ત પનીર ખાવાથી કિડની અને કેન્સર જેવી બીમારી થઈ શકે છે.
ભીડભંજન સોસાયટીમાં ચાલતા આ યુનિટ પર ફૂડ વિભાગે દરોડા પાડીને નમૂના લીધા હતા. આરોપી મહેશ શર્મા પામ તેલ અને દૂધના પાવડરથી નકલી 'એનાલોગ પનીર' બનાવતો હતો.
બજારમાં અસલી પનીરનો ભાવ 400 રૂપિયાથી વધુ છે ત્યારે આ નકલી પનીર સસ્તું વેચાતું હતું. આ યુનિટ માત્ર 180 થી 220 રૂપિયામાં નકલી પનીરનું વેચાણ બજારમાં કરતું હતું.
આરોપી પાસે મહારાષ્ટ્રનું લાયસન્સ હતું પરંતુ તે સુરતમાં ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવતો હતો. છેલ્લા બે વર્ષથી આ કૌભાંડ સુરતના પાંડેસરા અને ગણેશનગર વિસ્તારમાં ચાલતું હતું.
આ ફેક્ટરીમાંથી દરરોજ અંદાજે 400 કિલો નકલી પનીર સુરતની હોટલો અને ડેરીઓમાં જતું હતું. આ પનીર નાની હોટલો, લારી-ગલ્લા અને રેસ્ટોરન્ટ્સમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું ખૂલ્યું છે.
દરોડા દરમિયાન પોલીસે 28 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ અને મશીનરી જપ્ત કરી છે. હવે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ ડેરીઓ અને હોટલોમાં તપાસ તેજ કરાશે.












Click it and Unblock the Notifications
