યે હૈ ઈન્ડિયા: દૂધની નગરી કેમ થઈ પાણી પાણી...!!!
રાકેશ પંચાલ, ચરોતર: આણંદ શહેરમાં મળેલી ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સમસ્યાઓ અને ત્યાર બાદની કામગીરીની સમીક્ષા ઉપરાંત જે તે અધિકારીઓને જરૂરી સલાહ સૂચન થયું હતું. આ બેઠકમાં અતિશય ભારે વરસાદમાં પણ પ્રિ-મોન્સૂન પ્લાન સફળ છે તે બાબતે ઉચ્ચ અધિકારએ પોતાની સહમતિ આપી છે. ત્યારે અનેક જાગૃત નાગરિકોના મનમાં સવાલ પેદા થઈ રહ્યો છે કે જો પ્રિ-મોન્સૂન પ્લાન સફળ થયો હોય તો થોડા ઈંચના વરસાદમાં જ આણંદ શહેર તેમજ અન્ય ગ્રામીણ વિસ્તારો પાણી પાણી થયા તે પુરાવા તંત્રની આંધળી આંખને દેખાયા નથી તેમ સાબિત થાય છે.
એક તરફ નવરાત્રિ ઘણી નજીક છે. તેમા આયોજકો પાણીનો નિકાલ થાય તે ધ્યાને રાખીને સતત બે દિવસથી કામગીરી કરી રહ્યાં છે. અને ત્યાર બાદ પથરાયેલા કાદવ-કિચડને દૂર કરવા માટે દિવસ-રાત કામ કરતા નજરે પડે છે. તો બીજી તરફ ઉચ્ચ અધિકારીઓની ટેબલ બેઠકમાં પ્રિ-મોન્સૂન પ્લાનની સફળતા અને ભારે વરસાદ બાદ સર્જાયેલી સમસ્યાઓને યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું છે તેના કાગળીયા પુરાવા બતાવીને અધિકારીઓ પોતાની કામગીરી સફળ હોવાનું જણાવી રહ્યાં છે.
જિલ્લા કલેક્ટર ડૉ.રાહુલ ગુપ્તાના મતે જિલ્લામા ભારે વરસાદ થયો હવો છતાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી અને પ્રિમોન્સૂન પ્લાન સફળ રહ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે પ્રભારી સચિવે આ બેઠકમાં ચોમાસા પહેલા અને બાદમાં થયેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉચ્ચ સ્તરની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ.કુલદિપ આર્ય, અધિક નિવાસી કલેક્ટર સુદાણી, નગરપાલિકાના ચીફ ઓફીસરો, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદાર અને અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
જિલ્લા વિકાસ અધિકારી શીતલ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના ભરોડ ગામમાં મકાનની દિવલા પડવાથી વધારે ઈજા પામવાથી મરણ પામેલ મૃતકના પરિવારને રૂ. દોઢ લાખની સહાય તાકીદે ચૂકવામાં આવી હતી. અને આ ઉપરાંત વધુ રૂ. પચ્ચાસ હજારની સહાય આપવામાં આવશે.
વધુ સમાચાર જોવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ.
આરોગ્ય વિષયક કામગીરીની સમીક્ષા
આણંદ ખાતે સરકીટ હાઉસમાં મળેલી બેઠકમાં જિલ્લાના પ્રભારી સચિવ સંગિતાસિંઘે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં ભારે વરસાદ અને તેનાથી થયેલા નુકસાન અને આરોગ્ય વિષયક કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં તેમણે અધિકારીઓ પાસે ભારે વરસાદને કારણે ઉદ્દભવેલી સમસ્યાઓના નિરાકરણ માટે હાથ ધરાયેલી નગરપાલિકાઓની કામગીરી મામલે તેમજ જિલ્લામાં રોડ રસ્તાનું રિપેરીંગ કામ હાથ ધરવા તેમજ નુકસાનની રિપોર્ટ માંગ્યો હતો.
બેઠકમાં થયેલી ચર્ચા વિચારણા અને અપાયેલા આદેશ
સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા સપ્તાહમાં પડી રહેલા સતત વરસાદે ગુજરાત સહિત ચરોતર પંથકને પણ પાણી પાણી કરી દીધું હતું. જેથી નાના-મોટા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં કાદવ-કિચડ થઈ જવા પામ્યાં હતા. આ ઉપરાંત ભરાયેલા પાણીને કારણે રોગચાળો ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. જેને પગલે ચરોતર તંત્ર જાગી ગયું હોય તેમ જણાઈ રહ્યું છે.
કાર્યવાહી કરવાનો આદેશ
આ ઉપરાંત કોઈ પણ પ્રકારનો રોગચાળો ફાટી ન નીકળે તે માટે તાકીદે સફાઈ ઝુંબેશ હાથ ધરવા તથા સ્લમ વિસ્તારમાં ચીફ ઓફિસર જાતે જ મુલાકાત લઈને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો તેમજ પશુઓના આરોગ્યની ચકાસણી થાય તે બાબતે પણ ભાર આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્રારા નગરપાલિકાઓને વિસ્તારમાં સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવા માટે અ-વર્ગની નગરપાલિકાઓને રૂ.25 લાખ, બ- વર્ગની નગરપાલિકાઓને રૂ.20 લાખ અને ક.વર્ગની નગરપાલિકાઓને રૂ. 15 લાખ, ડ વર્ગની નગરપાલિકાઓને રૂ.10 લાખ ફાળવવામાં આવ્યાં છે.
રજાના દિવસે પણ સફાઈ કામગીરી ચાલુ
જિલ્લાના પ્રભારી સચિવે નવરાત્રિના દિવસો ઘણા નજીક હોવાથી જે વિસ્તારોમાં ગરબાનું આયોજન થાય છે તે વિસ્તારોમાં ભરાયેલા પાણીનો સત્વરે નિકાલ થાય તે હેતુથી ડી વોટરીંગ પંપ લગાવીને તુરંત કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું. જેમાં વરસાદે વિરામ લીધા બાદ જિલ્લાની તમામ નગરપાલિકાઓ દ્રારા શનિ-રવિવાર જે જાહેર રજાઓ હોવા છતાં સફાઈ કામગીરી ચાલુ રહી હતી તેમ ચીફ ઓફિસરો દ્રારા જણાવવામાં આવ્યું હતું.
લોકો શું કહે છે.
જોકે આણંદ જિલ્લામાં વિધાનગર ખાતે આવેલ નાના બજારના વેપારીઓ પાલિકાની કામગીરીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. દર વર્ષે દિવાળીના સમય દરમિયાન જ પાલિકા બજારોમાં ખોદકામ શરૂ કરી દીધી છે. આ વખતે ગટર લાઈનના કારણે રોડ રસ્તા ખોદી કાઢવામાં આવ્યા છે. જેથી તેમાં વરસાદી પાણી જામી ગયું છે. જેથી નાના બજારોના વેપારીઓને નવરાત્રિ તેમજ દિવાળીની સિઝન દરમિયાન દુકાનમાં બેઠા બેઠા માંખો મારવા જેવી હાંલત થઈ ગઈ છે.
તંત્રની કામગીરીની હકીકત
વર્તમાન સમયે અનેકે ઠેકાણે શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ભરાયેલા પાણી અને કચરો તંત્રની કામગીરીની હકીકતના પુરાવા આપી રહ્યું છે. તેવી પરિસ્થિતિમાં શહેર અને ગ્રામીણ વિસ્તારના નાગરિકો માની રહ્યાં છે કે હવે વાદળછાયાં વાતાવરણથી છૂટકારો મળી ગયો છે. તેમજ નવરાત્રિ નજીક હોવાથી તંત્ર સાફ-સફાઈની કામગીરી જલ્દી કરશે તેમ જણાઈ રહ્યું છે.
વરસાદથી ચરોતર પંથક પાણી પાણી
સતત પડી રહેલા વરસાદથી ચરોતર પંથક પાણી પાણી થઈ ગયું હતું. જેમાં આણંદ શહેરમાં નવા અને જૂના બસ સ્ટેન્ડ ખાતે ભરાયેલા પાણીને અનેક લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. જેનાથી આણંદનો અમુક વિસ્તાર સંપર્ક વિહોણો સાબિત થયો હતો. જેમાં પ્રિ-મોન્સૂન કામગીરી બાબતે અનેક સવાલો ઉઠ્યાં હતા. તેવી પરિસ્થિતિમાં ટેબલ બેઠક દરમિયાનજ ઉચ્ચ અધિકારીઓ દ્રારા પ્રિ-મોન્સૂન પ્લાનને સફળ ગણાવીને અધિકારીઓ પોતાની જીતની મિઠ્ઠાઈ પોતાને જ ખવડાવી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે.