PM મોદીએ ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી કરી રવાના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રેલવે સ્ટેશન પર ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી રવાના કરી છે.
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રેલવે સ્ટેશન પર ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી રવાના કરી છે. નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગાંધીનગર અને મુંબઈ વચ્ચે રવિવાર સિવાય સપ્તાહના 6એ દિવસ દોડશે. તમને જણાવી દઈએ કે પીએમ મોદી હાલમાં ગુજરાતના બે દિવસીય પ્રવાસ પર છે.
વંદે ભારત એક્સપ્રેસને રવાના કરીને પીએમ મોદીએ ગાંધીનગરથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં મુસાફરી પણ કરી. આ યાત્રામાં તેમની સાથે વિવિધ ક્ષેત્રના લોકો સામેલ થયા જેમાં રેલવે પરિવારના લોકો, મહિલા ઉદ્યમીઓ અને યુવાનો પણ હતા. તમને જણાવી દઈએ કે સંપૂર્ણપણે સ્વદેશી વંદે ભારત ટ્રેન અત્યાધુનિક સુવિધાઓથી લેસ છે. ભારતની રેલવેમાં વંદે ભારત એક ક્રાંતિકારી આયામ ઉમેરશે.
વંદે ભારત ટ્રેન 20901 મુંબઈ સેન્ટ્રલથી સવારે 6.10 વાગે ઉપડશે અને ગાંધીનગર બપોરે 12.30 વાગે પહોંચશે. વળી, ટ્રેન - 20902 ગાંધીનગરથી બપોરે 2.05 વાગે પાછી વળશે અને મુંબઈ સેન્ટ્રલ રાતે 8.35 વાગે પહોંચશે. અધિકૃત સૂત્રોએ જણાવ્યુ કે ટ્રેનમાં 16 કોચ છે જેની બેઠક ક્ષમતા 1128 મુસાફરોની છે અને તે ત્રણ સ્ટેશન - સુરત, વડોદરા અને અમદાવાદમાં ઉભી રહેશે. નવી વંદે ભારત એક્સપ્રેસમાં નવા એડવાન્સ ફીચર છે. આ સેમી હાઈસ્પીડ ટ્રેન 52 સેકન્ડમાં 0થી 100 કિલોમીટરની ગતિ પકડશે અને એટલા જ ઓછા સમયમાં ધીમે પણ થઈ જાય છે. ગાંધીનગરથી મુંબઈ ટ્રેનમાં 7 કલાકનો સમય લાગે છે પરંતુ વંદે ભારત એક્સપ્રેસમાં આ અંતર 4 કલાકમાં પૂરુ કરી શકાશે.
સ્વદેશી સેમી-હાઈ સ્પીડના નામથી પ્રસિદ્ધ આ ટ્રેન 0થી 100 કિમી પ્રતિ કલાક સુધીની ઝડપ માત્ર 52 સેકન્ડમાં કવર કરી લે છે. આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે સ્લાઈડિંગ ફૂટસ્ટેપ્સ ઉપરાંત ટચ પ્રી સ્લાઈડિંગ ડોરની સાથે સ્વચાલિત પ્લગ દરવાજાઓ પણ લગાવવામાં આવ્યા છે. એસીના મોનિટરિંગ માટે કોચ કંટ્રોલ મેનેજમેન્ટ સિસ્ટમ અને કંટ્રોલ સેન્ટર તેમજ મેઈન્ટેનન્સ સ્ટાફની સાથે કમ્યુનિકેશન તેમજ ફીડબેક માટે GSM/GPRS જેવી આધુનિક ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દિવ્યાંગ મુસાફરો માટે વિશેષ પ્રકારના શૌચાલય અને સામાન્ય મુસાફરો માટે ટચ-ફ્રી એમિનિટિસવાળા બાયો વેક્યુમ ટૉયલેટ બનાવવામાં આવ્યા છે. સમાન સુવિધાઓ ધરાવતી આયાતી ટ્રેન કરતા લગભગ અડધા ખર્ચે વંદે ભારત ટ્રેન તૈયાર થઈ જાય છે. તેનો ખર્ચ લગભગ 100 કરોડ રૂપિયા થયો છે.