Somnathમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી, સોમનાથ મંદિરમાં PM મોદીએ કર્યા દર્શન
Somnath Swabhiman Parv: પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આજે 'સ્વાભિમાન પર્વ'ની દિવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ ખાસ પ્રસંગે PM નરેન્દ્ર મોદી સોમનાથ મહાદેવના શરણોમાં શીશ ઝુકાવવા પહોંચ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિ અને ઉત્સાહના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.

સાધુ-સંતો દ્વારા ભવ્ય સત્કાર
PM નરેન્દ્ર મોદી જ્યારે સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર પર પહોંચ્યા, ત્યારે ત્યાં હાજર સાધુ-સંતોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ તેમની સાથે જોડાયા હતા. PM મોદીએ તમામ સંતોના અભિવાદનનો સ્વીકાર કર્યો હતો.
પરિસરમાં ગુંજ્યા 'મોદી-મોદી' ના નાદ
PMના આગમનને પગલે સોમનાથમાં શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડ્યો હતો. PMની એક ઝલક મેળવવા આતુર લોકોએ "મોદી-મોદી" ના નારા લગાવતા આખું પરિસર ગુંજી ઉઠ્યું હતું. PMએ પણ જનમેદની સામે હાથ હલાવીને સ્મિત સાથે સૌનું અભિવાદન ઝીલ્યું હતું.
વિશેષ ઓમકાર અનુષ્ઠાનમાં હાજરી
સોમનાથ મંદિરમાં આયોજિત વિશેષ ૐ કાર (ઓમકાર) અનુષ્ઠાનમાં PM સહભાગી થયા હતા. તેમણે પરમ શ્રદ્ધા સાથે પૂજાવિધિ કરી હતી અને મંત્રજાપ કરીને દેશની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.
ડ્રોન શો બનશે આકર્ષણનું કેન્દ્ર
આધ્યાત્મિકતા અને આધુનિકતાના સંગમ સમાન આ પર્વમાં આજે રાત્રે એક વિશેષ ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આકાશમાં અદભૂત દ્રશ્યો દ્વારા સોમનાથ મંદિરના ગૌરવશાળી ઇતિહાસ અને તેની પુનઃસ્થાપનાની ગાથા રજૂ કરવામાં આવશે.
આ પ્રસંગે સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભક્તોમાં ભારે આનંદ જોવા મળી રહ્યો છે. PMનો આ પ્રવાસ સોમનાથના વિકાસ અને સાંસ્કૃતિક વારસાને વધુ વેગ આપશે તેમ માનવામાં આવી રહ્યું છે.












Click it and Unblock the Notifications
