"નિશાળમાં ભણતો હતો ત્યારે સાંભળેલું કે રો-રો ફેરી શરૂ થશે"
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોઘા ખાતે રો-રો ફેરી સર્વિસના લોકાર્પણ બાદ જનસભાનું સંબોધન કર્યું હતું. અહીં તેમણે પરોક્ષ રીતે કોંગ્રેસ પર અનેક પ્રહારો કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભાવનગર ઘોઘાથી ભરૂચના દહેજ વચ્ચેની રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ કર્યું હતું. આ યોજના પીએમ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. રો-રો ફેરી સર્વિસ ઉપરાંત તેમણે ભાવનગરની સર્વોત્તમ ડેરીના પશુદાણ પ્લાન્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભાવગનર ખાતે જનસભાનું સંબોધન પણ કર્યું હતું. પીએમ મોદીના સંબોધનના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં...
રો-રો ફેરી સર્વિસ
ભારત તથા દક્ષિણ એશિયા માટે આ સૌથી મોટો પ્રોજેક્ટ છે. 650 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં અનેક પડકારોનો સામનો કરવાનો આવ્યો છે. બે શહેર વચ્ચેનું 310 કિમીનું અંતર ઘટીને માત્ર 31 કિમી થયું, 8 કલાકનો પ્રવાસ રો-રો ફેરીમાં માત્ર એક કલાકમાં કરી શકાશે. આ કામ ભારત અને ગુજરાત સરકારે કર્યું છે. ઘોઘા ખાતેનું ટર્મિનલ પૂર્ણ રીતે કાર્યરત થયા બાદ ઘોઘાથી મુંબઇ, ઘોઘાથી હજીરા, સુરત ઉપરાંત પીપાવા, જાફરાબાદ અને દીવ-દમણ સાથે પણ રો-રો ફેરી સર્વિસ જોડવામાં આવશે.
બધા સારા કામ મારા નસીબમાં લખાયેલા છે
હું નિશાળમાં ભણતો હતો ત્યારે શિક્ષકના મોઢે સાંભળેલું કે ઘોઘાથી રો-રો ફેરી સર્વિસ શરૂ થનાર છે. એ સમયે બળવંતરાય મહેતા મુખ્યમંત્રી રહ્યા હશે. તે સમયથી રો-રો ફેરીની ચર્ચા-વિચારણા ચાલતી હતી. એ પછી તો કંઇ કેટલીય સરકારો આવી અને ગઇ, ભાવનગરના અનેક મોટા નેતાઓ પણ આવ્યા. પરંતુ લાગે છે કે, બધા સારા કામ મારા નસીબમાં જ લખાયેલા છે.
ખૂણામાં પડી હતી યોજના
હું મુખ્યમંત્રી બન્યો ત્યારે આ યોજના એક ખૂણામાં પડી હતી. જૂની સરકારે યોજનામાં સ્ટ્રક્ચરલ સર્વિસમાં બહુ મોટી ભૂલ કરી હતી. તેમણે ફેરી ચલાવનારને આ માટે ટર્મિનલ બનાવવાનું કામ સોંપ્યું હતું. ટ્રક ચલાવનારને રસ્તો બનાવવાનું અને વિમાન ઉડાડનારને એરપોર્ટ બનાવવાનું કામ ન સોંપાય. આ કામ સરકારનું છે. અમે જૂની નીતિઓમાં પરિવર્તન આણ્યું અને આજે પરિણામ તમારી સામે છે.
દરિયાઇ વિકાસ
ગુજરાત પાસે વિશાળ દરિયાકિનારો છે અને આપણે તેના દ્વારા મળતી તકોનો પૂરતો લાભ લેવો જોઇએ. હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મેં આ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો, પરંતુ ત્યારે કેન્દ્ર સરકાર દરિયાઇ વિકાસની તાકાત સમજી ન શકી. વાપીથી લઇને કચ્છના માંડવી સુધી ગુજરાતના દરિયાઇ વિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ગુજરાતના વિકાસમાં અમને અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો છે. પરંતુ તમે લોકોએ મને દિલ્હી મોકલ્યો અને તમામ સમસ્યાઓ દૂર થઇ.
જળમાર્ગે પરિવહન
એક અભ્યાસ અનુસાર, રસ્તાના માર્ગે ભારે માલ-સામાન લઇ જતાં દોઢ રૂપિયાનો ખર્ચ થાય છે. રેલ માર્ગે પરિવહનમાં એક રૂપિયો અને જળ માર્ગે પરવિહન કરીએ તો માત્ર 20 પૈસાનો ખર્ચ થાય છે. આ સર્વિસના બીજા ચરણમાં વાહનો પણ લઇ જવાશે. એક સાથે 100 ટ્રક ફેરીમાં લઇ જવાશે, આનાથી ઇંધણની બચત થશે. લોકો આ ફેરી સર્વિસ પર નિર્ભર થશે તો દિલ્હી અને મુંબઇને જોડતા રસ્તાઓ પર પણ તેની અસર થશે.
સૌરાષ્ટ્રમાં ડેરી ન બને એવા પ્રયાસો
ભૂતકાળની સરકારે કચ્છ-સૌરાષ્ટ્રમાં ડેરી ન બને, ડેરી ઉદ્યોગ ન વિકસે એવા નિયમો લાદ્યા હતા. આજે ભાવનગરની ડેરીના 65 લાખના ખર્ચે બનેલ પશુદાણ પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે હું ખુશી અનુભવું છું. અમારી સરકારે જૂની અનેક નીતિઓમાં પરિવર્તન કર્યાં, ડેરીઓ બની, ખેડૂતો-પશુપાલકોની આવક વધી, ડેરી ઉદ્યોગનો વિકાસ થયો. આપણા દેશ પાસે સૌથી વધારે પશુઓ છે, પરંતુ દૂધન ઉત્પાદનમાં દેશ સૌથી પાછળ છે. આ માટે પશુઓની માવજત અને કેળવણી કરવાની જરૂર છે. પશુદાણ દ્વારા તેમને યોગ્ય આહાર મળશે, દૂધનું ઉત્પાદન થશે અને તેનો ફાયદો ખેડૂતે પણ થશે.