વડાપ્રધાનની ભાવનગર મુલાકાત સંદર્ભે અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
વડાપ્રધાનની ભાવનગર મુલાકાત સંદર્ભે અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
આગામી તા. ૨૯ મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભાવનગર જિલ્લાની મુલાકાતે પધારવાના છે. તેને ધ્યાને લઇને આજે કલેક્ટર કચેરી ખાતે ભાવનગર જિલ્લાના અધિકારીઓ સાથે અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસની અધ્યક્ષતામાં આયોજન અને તૈયારીઓ અંગે બેઠક યોજી હતી.
બેઠકમાં અધિક મુખ્ય સચિવએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભાવનગર આવી રહ્યા છે ત્યારે રોડ-શો, અને જવાહર મેદાન ખાતેની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. તેમણે લોજીસ્ટિક, વાહન વ્યવસ્થા, સેનિટેશન, પાણી, પાર્કિંગ અંગે કાર્ય કરવાં માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે શહેર અને જિલ્લામાં તે અંગેનો વ્યાપક પ્રચાર- પ્રસાર થાય તે માટે હોર્ડિંગ, બેનર, ડેકોરેશન સહિતની વ્યવસ્થાઓ તથા પૂરતાં પ્રમાણમાં પાર્કિંગ, વાહન વ્યવસ્થા વગેરે અંગે તેમણે તંત્ર વાહકોને સૂચના આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં રોડ-શો માં સુરક્ષા વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ડેકોરેશન અંગે અગાઉથી જ તે અંગેના જરૂરી પગલાઓ લેવામાં આવે તે માટેના જરૂરી સૂઝાવોની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટર યોગેશ નિરગૂડેએ વડાપ્રધાનની સંભવિત મુલાકાતને લઈને જરૂરી વ્યવસ્થાઓ માટે તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી દેવામાં આવી છે. તેમજ તમામ વ્યવસ્થાઓ સૂચારુંરૂપે થાય તે માટે થયેલા આયોજનની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનાં ચેરમેન અને જી. એમ. બી. નાં વાઇસ ચેરમેન અને ચીફ એકઝયુકેટીવ આર. બી. બારડ, મહાનગરપાલિકા કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, નગરપાલિકા નિયામક અજય દહીંયા, એસ.પી. ડો.રવિન્દ્ર પટેલ, એ.એસ.પી. સાફિન હસન, નિવાસી અધિક કલેકટર બી. જે. પટેલ સહિતના જિલ્લાનાં પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.