ગાંધીનગર અક્ષરધામની મુલાકાતે PM મોદી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત અક્ષરધામની મુલાકાતે ગુરૂવારે ગુજરાત આવશે. ગાંધીનગરમાં આવેલા અક્ષરધામનો ગુરૂવારે રજત જયંતિ મહોત્સવ. આ અંગે વધુ વાંચો અહીં.
2 નવેમ્બર અને ગુરૂવારના રોજ ગાંધીનગર ખાતે આવેલા અક્ષરધામને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, આ નિમિત્તે આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમમાં બીએપીએસના વડા પૂજય મહંત સ્વામી તથા વડાપ્રધાન મોદી પણ વિશેષપણે ઉપસ્થિત રહેશે. બીએપીએસના દેશ-વિદેશના ભક્તો તો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે. અક્ષરધામનું નિર્માણ બીએપીએસના અક્ષરધામ ગમન પામેલા વડા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી બનાવવામાં આવ્યું હતું અને તેની ખ્યાતિ દેશ-વિદેશમાં છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, પ્રમુખ સ્વામીના ગુરૂ યોગીજી મહારાજનો સંકલ્પ હતો અને તે સંકલ્પની પૂર્ણાહુતિ સ્વરૂપે જ ગાંધીનગરમાં આ અક્ષરધામ પૂજ્ય પ્રમુખસ્વામીની પ્રેરણાથી નિર્માણ પામ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશમાં સભાને સંબોધ્યા બાદ સાંજે દિલ્હીથી સીધા ગાંધીનગર આવશે અને અક્ષરધામ સભા કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ગાંધીનગરથી જ સીધા દિલ્હી જવા રવાના થશે. પ્રાથમિક વિગતો પ્રમાણે પીએમ મોદી સાંજે 5 વાગ્યાની આસપાસ અમદાવાદ પહોંચશે. સૌ પ્રથમ તેઓ રાજભવન જશે અને ત્યાંથી સાંજે 6.30 વાગ્યાની આસપાસ અક્ષરધામના કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણના દર્શન કરશે અને લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ નિહાળશે. ત્યાર બાદ તેઓ 8 વાગ્યાની આસપાસ દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, દર દિવાળીએ ગાંધીનગર અક્ષરધામ ખાતે દીવાઓની વિશેષ રોશની કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે આ રોશની ન કરતા અક્ષરધામ સનાતનમ નામનો શો દરરોજ નિઃશુલ્ક દર્શાવવામાં આવે છે, જે જોવાનો લાભ લાખો મુલાકાતીઓએ લીધો હતો.
શું છે અક્ષરધામ?
સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરના સેકટર 20માં આવેલું છે. તેની ઊંચાઈ 108 ફૂટ, લંબાઈ 240 ફૂટ,પહોળાઈ 131 ફૂટ છે. અક્ષરધામ મંદિર એ ગાંધીનગરનું મોટામાં મોટું મંદિર છે અને દેશવિદેશના લાખો મુલાકાતીઓ તેમજ શ્રદ્ધાળુઓ આ સંકુલની મુલાકાતે આવે છે. મંદિરમાં દર્શન ઉપરાંત જોવાલાયક આકર્ષણોમાં સત્-ચિત્ આનંદ વોટર શો, સહજાનંદ વન બાગ (6,45૪૫,600 સ્ક્વેરફૂટ) અને આર્ષ રિસર્ચ સેન્ટર આવેલ છે.