નોટબંધીને 12 મહિના થઈ ગયા, કોંગ્રેસીયાઓના આંખના આંસુ હજુ સૂકાતા નથી : મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં યોજીયેલી સભામાં આપી હાજરી. જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરમાં શું કહ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના બીજા દિવસની ગુજરાત યાત્રામાં ધરમપુર પછી ભાવનગર ખાતે સભાને સંબોધી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો ગઢ મનાતી ભાવનગર બેઠક પરથી પીએમ લોકોને આવનારી ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પીએમ મોદી હાલ ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરી રહ્યા છે. અને ઠેર ઠેર ચૂંટણી સભાઓ યોજી રહ્યા છે. ત્યારે ભાવનગર ખાતે વડાપ્રધાન કહ્યું કે મને બે લોકોએ ટ્રેન કર્યો છે એક કેશુભાઇ પટેલ અને બીજા હરિસિંહ ગોહિલ. હરિસિંહ ગોહિલના ચહેરા પર ક્યારેય તનાવ જોવા ના મળે. તે હરિસિંહ દાદાની કર્મ ભૂમિને હું નમન કરું છું.
ભાવનગરના વખાણ
ભાવનગરમાં વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગર વાસીઓ અને ભાવનગરના રાજાના વખાણ કર્યા હતા. ભાવનગરના રાજાએ એ સમયમાં દેશની આઝાદી પછી ભાવનગરનું રજવાડું સૌ પ્રથમ દાનમાં આપ્યું હતું. આમ કહી તેમણે રાહુલને મેણું મારતા ઉમેર્યું કે મને ખબર નથી કે જે હમણાં હમણાં સોમનાથ જાય છે તેમને ખબર હોય કે હરિ સિંહ કોણ હોય? પણ સોમનાથમાં બે બાવલાં છે એક સરદાર પટેલ અને એક હરિસિંહ ગોહિલના જેમને નમન કરવાનું મન થાય.
કોંગ્રેસ પર પ્રહાર
તેમણે આ સભામાં કહ્યું કે કોંગ્રેસ વર્ષોથી બે પક્ષોની અંદર અંદર લડાઇ કરાવે છે. તેમણે કહ્યું કે જાતિઓ વચ્ચે ઝગડા થાય, ઊંચી નીચની લડાઇ થાય, આ સમાજને તોડવાનું કામ કોંગ્રેસે અંગ્રેજો પાસેથી વારસામાં શીખ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે આ વિકાસ મે નથી કર્યો, ગુજરાતની જનતાએ કર્યો છે. આપણા તાણાં-વાણાને વીખી નાખવા પ્રયત્નો પહેલા પણ થયા છે. પણ ત્યારે સમાજે આવા તત્વોને દાદ નહતી આપી. તેમણે કહ્યું કે ગુજરાતનો વિકાસ થયો એનું કારણ, ગુજરાતીઓની એકતા, ગુજરાતીઓની સદભાવના, ગુજરાતની સારું કરવા માટેની નેમ, જતું કરવાની નેમ અને ગુજરાતનું ભલું થશે તો કાલે અમારું પણ ભલું થશે એવા ઉમદા વિચારને કારણે ગુજરાત આગળ વધ્યું છે અને એને તાકાત આપવાનું કામ ભાજપે કર્યું છે.
મત માટે કરી અપીલ
તેમણે કહ્યું કે 9મી તારીખે બટન દબાવીને આ તમામ લોકોને ગુજરાતની જનતા સજા કરશે. હવે ચૂંટણી છે અને મોદીનું ગુજરાત છે માટે આ લોકો ગુજરાતને સામાજીક તાણાં વાણાં સાથે તોડવા માંગે છે. જેથી કરીને તેમની દુકાન ચાલી શકે. 9 મી તારીખે તમારી આંગળીની તાકાત બતાવીને ગુજરાત અને ભારતનું ભાગ્ય બનાવજો.
કોંગ્રેસ જાય છે
તેમણે ઉત્તર પ્રદેશની ચૂંટણીને યાદ કરીને કહ્યું કે જ્યાંથી કોંગ્રેસની 5-5 પેઢી જીતી છે ત્યાં પણ કોંગ્રેસ હવે જતું રહ્યું છે. ઉત્તર પ્રદેશવાસીઓ પણ હવે કોંગ્રેસીઓને ઓળખી ગયા છે. હવે કોંગ્રેસ બધેથી જઇ રહ્યું છે. હિમાચલ પ્રદેશમાં પણ 18 તારીખે વિદાય લખી છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની પાંચ પેઢી બહાર આવી હોવા છતાં તેને બટાકા જેવું શૂન્ય મળ્યું છે. આસામમાં પણ ભાજપની જીત થઇ છે. અને ગુજરાતમાં પણ ભાજપ જ આવશે. તેમણે કહ્યું કે યુપીના લોકો કોંગ્રેસ અને તેમના નેતૃત્વને સારી રીતે જાણે છે. અને જુઓ કે એમણે કેવી રીતે વારંવાર કોંગ્રેસને નકારી છે.
નોટબંધી
નોટબંધીના કારણે ઇમાનદાર લોકોને કોઇ નુક્શાન થયું નથી. તે એટલા માટે રડે છે કારણ કે તેમનું લૂંટાયું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કાન ખોલીને સાંભળી લે, અમે જુદી માટીના માનવી છીએ, ગાંધી અને સરદારની ધરતીનું ધાવણ ધાવીને મોટા થયા છીએ એટલે જ અમે અમારા સંકલ્પમાંથી પાછા નથી વળતા અને અમારો સંકલ્પ છે કે જેમણે આ દેશને અને ગરીબોને લૂટ્યા છે એમણે ગરીબોનું લૂટેલું પાછું આપવું જ પડશે. સાથે જ તેમણે કહ્યું કે નોટબંધીને 12 મહિના થઈ ગયા છતાં કોંગ્રેસીયાઓના આંખના આંસુ હજુ સૂકાતા નથી.
દહેજ- ઘોઘા ફેરી
તમે મને કહો લંકાની લાડીને ઘોઘાનો વર આ કહેવત એમનેમ બની હશે? ઘોઘા તો પહેલાથી છે. આ દરિયા પહેલા પણ હતો. મને દેખાયો તમને ના દેખાણું. મને સમજાયું તમને ના સમજાયું. કોંગ્રેસ ખાલી વચન જ આપે છે. હું નાનો હતો નિશાળમાં ભણતો હતો ત્યારે ઘોઘામાં ફેરી સર્વિસની વાત થઇ હતી. કોંગ્રેસે આવી વાતો કરીને અનેક વોટ લઇ જાય.
કપિલ સિબ્બલ
આ પ્રસંગે તેમણે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલની પણ વાત કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં એક કપિલ સિબ્બલ કરીને વકીલ છે. જે પણ ખોટી વાતો હોત તેની વકિલાત કપિલ સિબ્બલ જ કરે. 2007ની ચૂંટણીમાં તેમણે વિરમગામમાં આવીને ભાષણ કર્યું હતું. કપિલે કહ્યું કે ગણતરીના દિવસોમાં જ આ મોદી જેલમાં હશે. 2007 થી 2014 સુધી તેમની સરકાર ચાલી પણ મને જેલમાં નાખી ના શક્યા. તમે મોદીને જેલમાં ભરવાનું વચન પુરુ નથી કરી શક્યા. બીજા ખોટા વચન કેમ આપો છો?
વિકાસનો મુદ્દો
મોદીએ કહ્યું કે ભાજપ સરકારે 3 કરોડ ગરીબ પરિવારોને ગેસના મફત કનેક્શન આપ્યા અને ગરીબ માતાઓને લાકડાના ચૂલાના ઘુમાડામાંથી મુક્તિ આપવાનું મહત્વનું કામ કર્યું. આ પ્રસંગે તેમણે સત્યને વળગી રહેવા કોંગ્રેસને અપીલ કરી. સાથે જ કહ્યું કે ગુજરાતનાં લોકો ચૂંટણી સમયે લોલિપોપ અને કોંગ્રેસના ખોટા વચનોને પસંદ નહીં કરે. હું કોંગ્રેસના ટેકેદારોનો વીડિયો જોઈ રહ્યો હતો તો એમાં 9 મી અને 14 મી તારીખે કોંગ્રેસને મત આપો અને પછી અમે 5 વર્ષ સુધી 'દાદાગીરી' કરીશું એવું કહેવામાં આવ્યું પણ આ એ ગુજરાત નથી કે તમે જે વિચારો એમ લોકો કરે.