PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા થઈ હિંસક ઝડપ, ભીડે મસ્જિદમાં પણ કરી તોડફોડ
પીએમ મોદીની મુલાકાત પહેલા કચ્છ જિલ્લાના ભુજમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી(27 ઓગસ્ટ) ગુજરાતની બે દિવસીય મુલાકાતે છે. પીએમ મોદીની મુલાકાત પહેલા કચ્છ જિલ્લાના ભુજમાં બે સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે ટોળાએ રસ્તા પર ઉતરી એક મસ્જિદ તેમજ અનેક દુકાનોમાં તોડફોડ કરી હતી. આ હિંસા એક યુવકની હત્યા બાદ થઈ હતી.

આ મામલો ભુજના માધાપુર વિસ્તારનો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અહીં દૂધ વેચતા એક યુવકની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે યુવકના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ઘટનાની તપાસ શરૂ કરી છે. યુવકની હત્યાના સમાચાર વાયુવેગે ફેલાતા જ રોષે ભરાયેલ ટોળુ રસ્તા પર ઉતરી આવ્યુ હતુ.
આ દરમિયાન ટોળાએ એક મસ્જિદ અને અનેક દુકાનોમાં તોડફોડ કરી હતી. મસ્જિદ અને દુકાનોમાં તોડફોડની માહિતી મળતાં પોલીસ સતર્ક બની હતી અને પરિસ્થિતિને કાબૂમાં લાવવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ વિસ્તારમાં વરિષ્ઠ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર હાલ સ્થિતિ કાબુમાં છે.
વળી, પોલીસે સ્થાનિક લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. આ સાથે તેણે ફેક ન્યૂઝ અને ખોટી માહિતીમાં ન પડવાની પણ અપીલ કરી છે. કહેવામાં આવી રહ્યુ છે કે સાંપ્રદાયિક હિંસાના પગલે પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં જે પણ દોષિત જણાશે તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
