મારા ઘરને પોલીસ છાવણીમાં ફેરવી નાખ્યુંઃ હાર્દિક
હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. હાર્દિક પટેલે ફેસબુક લાઈવ કરીને પોલીસથી અને રાજ્ય સરકારથી નારાજગી વ્યક્ત કરી છે
હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ છે. હાર્દિક પટેલે ફેસબુક લાઈવ કરીને પોલીસથી અને રાજ્ય સરકારથી નારાજગી વ્યક્ત કરી છે. હાર્દિક પટેલે કહ્યું કે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ભગતસિંહ જેવા મહાનુભાવોએ જેલમાં એકલા બેસીને દેશને આઝાદ કરવા માટે ઉપવાસ કરેલા ત્યારે હું પણ ખેડૂતોની દેવા માફી અને અનામત આંદોલનની માંગણી સાથે ઉપવાસ શરૂ કર્યા છે. અત્યાર સુધીમાં 2 વખત હાર્દિકના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યા છે. હાર્દિકે કહ્યું કે એટલી જલદી હું ભાંગી પડું તેમ નથી.
હાર્દિક પટેલે કહ્યું કે પોલીસે મારા ઘરની બહાર જેલ જેવું વાતાવરણ કરી દીધું છે, લોકોને અંદર આવવા દેવામાં આવતા નથી તેમની સાથે પોલીસ રકજક કરે છે. મમતા બેનરજી અને તેમનું ડેલિગેશન આવ્યું ત્યારે પોલીસે તેમને પણ અંદર આવવા દેવામાં રકજક કરી હતી. પોલીસ સંપૂર્ણ દાદાગીરી વાપરી રહી હોવાનો આરોપ લગાવ્યો. આ પણ વાંચો- હાર્દિક પટેલને મળ્યું મમતા બેનરજીનું સમર્થન, મળવા આવશે ડેલિગેશન
દરમિયાન હાર્દિકે જણાવ્યું કે રામોલના કેસમાં આજે ચૂકાદો આવ્યો છે ત્યારે જો જામીન રદ થાય તો જેલમાં જઈને ઉપવાસ કરવા જણાવ્યું છે. ઉપરાંત હાર્દિકે પાટીદાર યુવકોને સંદેશો આપતા કહ્યું કે જો તમારા તાલુકામાંથી જ તમને રોકી લેવામાં આવે તો તમારા ઘરે જ ઉપવાસ કરો. સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતોની મુસિબતો વધી રહી છે, માંડવીમાં મુંડા પડી ગયા અને ગાંધીનગરમાં ગુંડા પહોંચી ગયા છે.
હાર્દિકે જણાવ્યું કે, ગતરોજ બિહારમાંથી 40 અને યુપીમાંથી 20 જેટલા લોકો આવ્યા હતા, પરંતુ તેમને કોઈને ઘરની અંદર નહોતા આવવા દેવામાં આવ્યા. વધુમાં જણાવ્યું કે મધ્ય પ્રદેશથી 300 ગાડી નીકળી ગઈ છે અને 28 તારીખે તેઓ અમદાવાદ પહોંચી જશે. લડાઈ ન્યાય તરફ નહીં પહોંચે ત્યાં સુધી લડાઈ લડવાનો સૂર લગાવ્યો હતો.