ગાંધીનગરમાં યુથ કોંગ્રેસની રેલી પર પોલીસનો લાઠીચાર્જ
ગાંધીનગર, 1 ઓક્ટોબર : આજે યુવક કોંગ્રેસ અને એન એસ યુ આઇના સંયુકત ઉપક્રમે ગાંધીનગરમાં પથિકાશ્રમથી વિધાનસભા ભવન સુધી રોજગાર અધિકાર રેલી યોજવામાં આવી હતી. આ રેલી પૂર્વે યોજાયેલી સભામાં કોંગી નેતાઓએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સભા બાદ યુવકો રેલી સ્વરૂપે વિધાનસભા ભવનને ઘેરાવ કરવા જતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો. પોલીસ રેલી અટકાવ્યાનું સ્વીકારે છે પરંતુ લાઠીચાર્જ કર્યાનું નકારે છે.
ભાજપના રાજમાં બેરોજગારી અને ભ્રષ્ટાચાર વધ્યો છે. શિક્ષણનું વ્યાપારીકરણ થઇ ગયું છે. બાબુભાઇ બોખીરિયા, પરસોત્તમ સોલંકી જેવા મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર પ્રકરણો છે. રાજ્યના 50 લાખ યુવાનો બેકાર છે, સરકારી કર્મચારીઓને ફીકસ પગાર આપી શોષણ કરવામાં આવે છે વગેરે મુદ્દા રેલીના આયોજકોએ ઉઠાવ્યા હતા.

ભ્રષ્ટાચાર અને બેરોજગારીને કારણે - પ્રજા અને યુવાનો ત્રાસી ગયા છે. ભ્રષ્ટાચારી સરકારને જગાડવા માટે ગુજરાત યુવક કોંગ્રેસ તથા ગુજરાત એન એસ યુ આઇ આયોજીત 'ભ્રષ્ટાચાર ભગાવો - રોજગાર લાવો' નામથી યુવા રેલીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડીયા, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મંત્રી અને ગુજરાતના સહપ્રભારી અશ્વિની શેખરી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, પૂર્વ નેતા શકિતસિંહ ગોહીલ, યુવા પાંખના પ્રદેશ પ્રમુખ માનસી ડોડીયા, એન એસ યુ આઇના પ્રદેશ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહીલ વગેરેએ આકરા મિજાજમાં સંબોધન કરી રાજયસરકારની ઝાટકણી કાઢી હતી.
સભા બાદ પાંચેક હજાર યુવકોએ વિધાનસભા ઘેરાવ કરવા રેલી શરૂ કરતા પોલીસે માત્ર સભાની જ મંજુરી હોવાનું જણાવી રેલી અટકાવવા બળપ્રયોગ કર્યો હતો. તે વખતે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે સુત્રોચ્ચાર કરતા કાર્યકરો તેમજ નેતાઓ અર્જુનભાઇ, શંકરસિંહ, શકિતસિંહ, સિધ્ધાર્થ પટેલ, ચંદ્રીકાબેન ચુડાસમા, વગેરેની અટકાયત કરી હતી. પોલીસવાનમાં પોલીસ મથકે લઇ જવાયા બાદ મોડેથી તમામને છોડી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
