ગુજરાત પોલીસ ઠેર ઠેર યાસીન ભટકલના પોસ્ટર્સ લગાવશે

આ સિલસિલામાં આતંકવાદી સંગઠનો ઈન્ડિયન મુજાહિદ્દીન અને લશ્કર-એ- તૈયબાનું 'નેક્સ્ટ ટાર્ગેટ' ફરી એકવાર અમદાવાદ હોઈ શકે છે તેવી ભીતિ વચ્ચે પોલીસે સતર્કતાના પગલાં લેવાનું શરૂ કર્યું છે. સતર્કતાના પગલે ઇન્ડિયન મુજાહિદ્દીનના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી યાસીન ભટકલના પોસ્ટર્સ લગાવવા પોલીસને આદેશ કરાયો છે.
હૈદરાબાદ પછી આતંકવાદીઓનું 'નેક્સ્ટ ટાર્ગેટ' અમદાવાદ હોઈ શકે છે તેવી જાણકારી સાથે પોલીસ કર્મચારીઓને 'રોલ કોલ' એટલે કે હાજરીની પ્રક્રિયા દરમિયાન આતંકવાદી હુમલો ખાળવા કયા પ્રકારની સતર્કતા દાખવવી તેની જાણકારી આપવામાં આવી હતી.
રોલ કોલની તાલીમમાં ચેકિંગની નિયમીત કામગીરી ઉપરાંત ખાસ કરીને 18થી 30 વર્ષની વયના શકમંદો વિશે જાણકારી મેળવવા તાકીદ કરાઈ છે. આ ઉપરાંત 8 માર્ચ, શુક્રવારે સાંજે અમદાવાદના તમામ પોલીસ સ્ટેશનોને ઈન્ડિયન મુજાહિદ્દીનના સભ્ય યાસીન ભટકલનો ફોટોગ્રાફ મોકલીને તેના પોસ્ટર્સ બનાવીને જાહેરમાં લગાવવા સૂચના અપાઈ છે.
પોલીસ અધિકારી સૂત્રોએ કહ્યું કે આતંકવાદી ગતિવિધિઓ વચ્ચે પ્રજાજનો સતર્ક રહે તેવો પણ પ્રયાસ છે. આતંકવાદના મુદ્દે શુક્રવારે સાંજે ક્રાઈમ બ્રાંચમાં મિટીંગ યોજવામાં આવી હતી. આતંકવાદને નાથવા પોલીસ અને પ્રજાના સહિયારા પ્રયાસોની દિશામાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
