ગુજરાતમાં પ્રધાનમંત્રી વીમા યોજનામાં રેકોર્ડ 2.1 કરોડ લાભાર્થીઓ જોડાયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં 'જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનને જબરજસ્ત સફળતા મળી છે. આ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) માં 27 ઓગસ્ટ 2025 સુધીમાં 2.01 કરોડથી વધુ લોકો જોડાયા છે.
આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે લાભાર્થીઓએ વાર્ષિક માત્ર 20નું નજીવું પ્રીમિયમ ભરવાનું હોય છે. આ નાનકડી રકમ સામે તેમને અકસ્માતથી મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં 1 લાખથી 2 લાખ સુધીનું વીમા કવચ મળે છે. આ યોજના ખાસ કરીને ઓછી આવક ધરાવતા અને અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.

દેશભરમાં 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય નાણાકીય સુરક્ષા અને સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાનો છે.
ગુજરાતમાં આ અભિયાન 14,610 ગ્રામ પંચાયતો અને શહેરી સંસ્થાઓમાં ચાલી રહ્યું છે. સરકારે આ કામગીરી માટે ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (VCE)ને પણ જવાબદારી સોંપી છે, જેથી લોકોને ઘરઆંગણે યોજનાનો લાભ મળી શકે.
આ અભિયાનમાં માત્ર વીમા યોજનાઓ જ નહીં, પરંતુ બેંક ખાતા ખોલાવવા, KYC અપડેટ કરવા, વારસદારની નોંધણી, ડિજિટલ છેતરપિંડીથી બચવા જેવી મહત્વની માહિતી પણ આપવામાં આવે છે.
PMSBY યોજના માટે પાત્રતા અને લાભ
- પાત્રતા : 18 થી 70 વર્ષની વય ધરાવતા અને બેંકમાં બચત ખાતું ધરાવતા કોઈપણ નાગરિક આ યોજનાનો લાભ લઈ શકે છે.
- વીમા કવચ : અકસ્માતથી મૃત્યુ અથવા સંપૂર્ણ કાયમી અપંગતા માટે 2 લાખ અને આંશિક કાયમી અપંગતા માટે 1 લાખનો વિમો મળે છે.
વધુ માહિતી માટે તમે નજીકની બેંક શાખા, બેંક મિત્ર, VCEનો સંપર્ક કરી શકો છો અથવા jansuraksha.gov.in/PMJJBY વેબસાઇટ અને હેલ્પલાઇન નંબર 1800-110-001 પર પણ સંપર્ક કરી શકો છો.












Click it and Unblock the Notifications
