પાકને હચમચાવનારા કાદરીએ મોદીનો માન્યો હતો આભાર!
જ્યારે કાદરી ભારતના પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે ગુજરાતની મુલાકાત લીધી હતી, જે સમયે જરાક અમથો વિવાદ પણ સર્જાયો હતો. તેમણે તેમની આ મુલાકાત દરમિયાન મુસલમાનોને સલાહ આપી હતી કે 2002માં જે રમખાણો થયા તેમાંથી આગળ આવાની જરૂર છે. આ દરમિયાન કાદરીને મોદી સરકાર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. જે બદલ તેમણે મુખ્યમંત્રી મોદીનો આભાર માન્યો હતો.
જો કે, તેમણે મોદીના વખાણ કર્યાં હતા એ વાતે વિવાદ ચગાવ્યો હતો અને ત્યાર બાદ તેમણે પોતાના એક ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે તેમણે કોઇપણ વ્યક્તિના વખાણ નહોતા કર્યાં માત્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. કારણ કે, એ રાજ્યની સરકારે મને પુરતી સુરક્ષા વ્યવસ્થા આપી હતી, એ પણ માગણી કર્યા વગર, 300 કરતા વઘારે પોલીસ કર્મીઓ ગોઠવવામાં આવ્યા હતા અને ઝેડ પ્લસ સુરક્ષા પણ પૂરી પાડી હતી. જો કે, કેટલાક લોકો આ વાતને મોરી તરોડીને રજૂ કરીને વિવાદ કરી રહ્યાં છે.
2006માં નેશનલ એસેમ્બલીમાંથી રાજીનામું આપીને કાદરી કેનેડા જતા રહ્યાં હતા. ગત વર્ષ ડિસેમ્બરમાં તેઓ પરત ફર્યા હતા અને લાહોરમાં એક કાર્યક્રમ કર્યો હતો. જેમાં પણ તેમણે હાલની સરકારના રાજીનામાની માંગ કરી હતી અને એક નવી સરકાર રચવામાં આવે તેમ જણાવ્યું હતું. તાજેતરમાં ફરી એક વાર તેઓએ આ જ માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. ઇસ્લામાબાદમાં મોટી સંખ્યામાં લોકો એકઠાં કરીને તેઓ માત્ર હાલની સરકાર દ્વારા સત્તા પરથી રાજીનામું આપવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે.