હારના આરોપોથી બચવા માટે રાહુલ પ્રચાર કરતા નથી- નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એક નેતા જેની પાસે કોંગ્રેસને ઘણી બધી આશાઓ છે, તેને એક વર્ષ સુધી ઉત્તર પ્રદેશમાં પ્રચાર કર્યો હતો અને લોકોએ પાર્ટીને સમર્થન ન કર્યું. આ નેતાએ હજુ સુધી ગુજરાતમાં પ્રચાર કરવાની હિંમત બનાતી નથી.
ગુજરાતના કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં એવી કોઇ જ નવી વાત નથી જે રાજ્યના વિકાસને નવો મોડ આપે એમ જણાવી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે ગુજરાતના ભવ્ય નિર્માણ માટે ભાજપાના સંકલ્પપત્રનો અભ્યાસ કરવા તુલના કરવા રાજકીય પંડિતોને અનુરોધ કર્યો હતો. રાજકીય સ્થિરતાથી આ સરકારને જનતાએ પીઠબળ આપ્યું છે એમ તેમણે જણાવ્યું હતું.
એક સાથે લાખો નાગરિકોને ટેકનોલોજી દ્વારા મળવાના સૌભાગ્યનો ઉલ્લેખ કરી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હું હંમેશા પ્રત્યેક પળ જનતાના સ્નેહપ્રેમ વચ્ચે જ રહ્યો છું જે હરેક ક્ષણથી નવી ઊર્જા મળી છે. દુનિયામાં કોઇ સમૃદ્ધ દેશમાં પણ લોકસંપર્કથી થ્રી ડી ટેકનોલોજી દ્વારા કયાંય ચૂંટણી પ્રચાર થયો નથી. ગુજરાતની આ ઘટના જ વિશ્વની અજોડ ઘટના છે. આપણા ગુજરાતીની છાતી ગજગજ ફૂલે, માથુ ઊચું રાખીને દુનિયામાં ઉભો રહી શક્યો છે.
આ ચૂંટણી ઉમેદવારનું ભાગ્ય નક્કી કરવાની હારજીતની નથી, પરંતુ જનતાએ નિર્ધાર કરવાનો છે કે ધબકતું વિકાસની ઊંચાઇ પાર કરી રહેલું ગુજરાત કોને સુપરત કરવું છે એમ જણાવી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભાવનામાં તણાઇને કે જૂઠ્ઠાણાની ભરમારથી ઉમેદવારના નામ સામે બટન દબાવવાની ભૂલ થાય નહીં તે જોજો. કોંગ્રેસે તો જનતાને જૂઠ્ઠાણાના સપના બતાવેલાંપ્રજાની આંખમાં ધૂળ નાંખી, વોટબેન્ક રાજનીતિ કરવા એકબીજાને લડાવવાના જ પેંતરા કરેલા છે તેની ભૂમિકા આપી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે છેલ્લા અગિયાર વર્ષથી ગુજરાતના વિકાસની પીઠ સૌ થાબડે છે, ગૌરવ કરે છે પણ તેનં બધું શ્રેય, આજના અફડાતફડીના યુગમાં પણ ગુજરાતની જનતાએ કોઇના પ્રભાવમાં આવ્યા વગર રાજકીય સ્થિરતા જાળવી છે, વિકાસથી વિચલિત થયા નથી તેને ફાળે જાય છે.
જો ગુજરાતમાં રાજકીય અસ્થિરતા હોત, છાશવારે સરકાર બદલાતી હોત તો બાર બાર વર્ષથી વિકાસ ચાલ્યો ના હોત! એમ તેમણે જણાવ્યું હતું. સહુએ મને બાર બાર વર્ષથી જવાબદારી સોંપેલી છે અને મેં જનતાની લાગણીઓને અનુરૂપ નીતિ કાયદા, યોજનાનો અમલ કરાવી આપવા સૌના સપના પૂરા કરવા સદા સર્વદા કામ કર્યું છે. આપના પીઠબળથી જ આ સ્થિર શાસન છે, વિકાસને વરેલું શાસન છે, અને હું વિશ્વાસ આપું છું કે બાર વર્ષ થયાં હું પગ વાળીને બેઠો નથી અને મારા મનમંદિરમાં છ કરોડ ગુજરાતીઓની જ ભલાઇ માટે મંથન કરતો રહ્યો છું, હવે મારી પાસે ૧ર વર્ષના અનુભવનું ભાથું છે. સરકાર કેમ ચલાવવી, જનતા માટે હજુ વધુ સારા કામ કરવા મેં નિર્ધાર કર્યો છે એમ નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું. મારે તો તમારા દિકરાના સંતાનોની પેઢીના સુખનું આવતીકાલનું ગુજરાત બનાવવું છે એમ તેમણે જણાવ્યું હતું.
કોંગ્રેસ પાર્ટીએ ૪૦ વર્ષ રાજ કર્યું પણ સત્તાભૂખ જ ભોગવી અને છેલ્લા ૧૭ વર્ષથી કોંગ્રેસ વિરોધપક્ષની ભૂમિકામાં પણ સદંતર નિષ્ફળ રહ્યો છે. કોંગ્રેસે ગયા બાર વર્ષમાં ગુજરાત વિશે કોઇ રચનાત્મક સૂચન કર્યું છે? કોઇ નાગરિકના સુખદુઃખમાં ભાગીદાર બન્યા છે? ના, કયારેય નહીં! ખેલકૂદ જેવા મહાકુંભના યુવાનોની રમતગમત શકિતની પણ મજાક ઉડાવી છે. યુવાનો સામે નકારાત્મક રાજકારણ લઇને કોંગ્રેસે યુવાનોના સપનાં રોળી નાખ્યા છે, તમારે તો જીહજૂરીયાની જમાત જ જોઇએ છે જે સત્તાભૂખની તમારી પીઠ થાબડે. અમારે તો આગામી પાંચ વર્ષમાં યુવાનોને તેના ભાગ્ય ઉજ્જવળ બનાવવા અવસરો આપવા છે એમ નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. ગુજરાતનો નૌજવાન માથું ઊંચુ કરીને પોતાની ક્ષમતા બતાવી રહયો છે.
કેન્દ્રમાં કોંગ્રેસની સરકારના પાપના કારણે દેશ બે આબરૂ થયો છે ત્યારે ગુજરાત રાજકીય રીતે સ્થિર સરકારના વિકાસનું નવું મોડેલ બન્યું છે એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાત જે રીતે આર્થિક વ્યવસ્થાપનનું મોડેલ બન્યું છે ત્યારે કેન્દ્રની સરકારના કૌભાંડોથી દેશનું આખુ અર્થતંત્ર ખરાબે ચડી ગયું છે. દેશના અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યોમાં મહારાષ્ટ્ર, આન્ધ્રપ્રદેશ, રાજસ્થાન, હરિયાણામાં કેન્દ્રના નાણાના ધોધ છતાં ગુજરાત જેવો વિકાસ કયાંય થયો નથી પણ રોજ નીતનવા કોંગ્રેસ શાસનોના કૌભાંડો બહાર આવતા રહ્યા છે.
આપણે ગુજરાતને કોંગ્રેસના કૌભાંડોથી મુક્ત રાખ્યું છે કોંગ્રેસ તો કયારે ગુજરાતની ગાંધીનગરની ગાદી તેના હાથમાં આવે તો લૂંટી લેવી એવી મધલાળ રાખે છે. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થામાં ઉત્તમમાં ઉત્તમ કોઇ રાજ્ય હોય તો ગુજરાત છે. ગરીબનું શાંતિનું સપનું એ ગુજરાતની ભાજપા સરકારનું સપનું છે. દશ વર્ષ પહેલા ગુજરાત કરફયુગ્રસ્ત હતું આજે કોંગ્રેસને જ નવાઇ લાગે છે કે આ શાંતિ ગુજરાતમાં કઇ રીતે રહી છે.
કેન્દ્ર સરકાર પાસે ગુજરાત તેના અધિકારો માટે સંઘર્ષ કરશે અને હક્કો મેળવવા માટે ભિક્ષુકનો કટોરો લઇને ઉભૂ રહેનારૂં નથી. દિલ્હી અમને નાણાં મોકલે છે તે તો ગુજરાતની જનતાના રૂા. ૬૦,૦૦૦ કરોડના ટેક્ષમાંથી આવેલા છે. કેન્દ્રની કોંગ્રેસ અધ્યક્ષાના કરિયાવરના નાણાં નથી આવેલા. તમે કેવા ગુજરાત વિરોધી રહ્યા છો? ગુજરાતના ખૂણે ખૂણે નર્મદાનું પાણી પહોંચે એ માટે સરદાર સરોવર ડેમના દરવાજા મૂકવાની પરવાનગી નથી આપતી અમે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતની ધરતીના તળાવો, નદીઓ, ડેમો નર્મદાથી ભરવા છે પણ કેન્દ્રની કોંગ્રેસ સરકાર નર્મદા યોજના પૂરી કરવા નથી માંગતી રૂા. ૬૦૦૦ કરોડની મૂળ યોજના આજે કેન્દ્રની કોંગ્રેસ સરકારની નકારાત્મકતા અને ગુજરાતના વિરોધના કારણે જ અટકાવી દીધી છે એમ તેમણે જણાવ્યું હતું.
હું તો કેન્દ્રની કોંગ્રેસ સલ્તનતના ગુજરાતને અન્યાય કરવાના, બદનામ કરવાના, બરબાદ કરવાના એકેએક પેંતરાનો ખૂલ્લો પડકાર કરતો આવ્યો છું. આપણું ગુજરાત હોસ્ટાઇલ પડોશી પાકિસ્તાન નજીક છે છતાં આતંકવાદ સામે લડવા ગુજરાતનો ગુજકોકનો કાયદો કેન્દ્ર સરકારે મંજૂરી માટે દબાવી દીધો છે. ગુજરાતને અન્યાય કરવાના દિવસો હવે ભૂતકાળ બની ગયા ગમે તે થાય કેન્દ્રની કોંગ્રેસ સલ્તનત સામે હું ઝૂંકવાનો નથી, ગુજરાતને ઝૂકાવવા દેવાનો નથી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોંગ્રેસે તો તેના કાર્યકર્તાની સાથે દગાબાજી કરી છે.
ગુજરાતની જનતાને ઘરના ઘરનું વચન આપીને છેતરપીંડી કરનારી કોંગ્રેસે તેના શાસનમાં ૪૦ વર્ષમાં ૧૦ લાખ મકાનો બાંધેલા અમે દશ વર્ષમાં રર લાખ મકાનો ફાળવી દીધા. અમે દશ વર્ષનાં વિકાસની રાજનીતિની સફળતાથી નવોદિત મધ્યમવર્ગને ગરીબીમાંથી બહાર લાવી શકયા તેને માટે વિકાસની તકો આપવી છે. કોંગ્રેસ તો ખુરશીની ભકિત કરે છે.આગામી ૧૩ અને ૧૭ ડિસેમ્બરે કમળ ઉપર બટન દબાવીને વધુમાં વધુ મતદાન કરી ગુજરાતનું ભાગ્ય ઘડજો એવી અપીલ તેમણે કરી હતી.