માર્ગરેટ આલ્વાએ ગુજરાતના રાજ્યપાલ તરીકે શપથ લીધા
ગાંધીનગર, 8 જુલાઇ : ગુજરાતના રાજ્યપાલ ડૉ. કમલા બેનિવાલને મિઝોરમના ગવર્નર બનાવાતા હવે રાજસ્થાનના ગવર્નર માર્ગરેટ આલ્વાને ગુજરાતના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેમણે સોમવારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રાજ્યપાલ તરીકે શપથ લીધા હતા.
નોંધનીય છે કે રાજસ્થાનના ગવર્નર તરીકેનો તેમનો કાર્યકાળ એક મહિના બાદ પૂરો થઇ રહ્યો છે. ત્યાં સુધી તેઓ ગુજરાતના રાજ્યપાલ તરીકેનો વધારાનો હવાલો સંભાળશે. માર્ગરેટ આલ્વાનો શપથવિધિ કાર્યક્રમ ગાંધીનગરના ટાઉન હોલમાં યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હાજર રહીને તેમનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે અલ્વાએ જણાવ્યું કે ગુજરાતમાં મહિલા મુખ્યપ્રધાન સાથે કામ કરવાનો અનુભવ આનંદદાયક રહેશે. જ્યારે પણ ગવર્નર તરીકે મારી જરૂર પડશે હું અહીં આવીશ. ભારતના અન્ય રાજ્યોની જેમ ગુજરાતના પણ તેના પોતાના કેટલાક પ્રશ્નો છે. જેમ કે શિક્ષકોની તંગી અને ગામડાંમાં ડોક્ટર્સ નહીં હોવા વગેરે. જેને ગંભીરતાથી ઉકેલવાની જરૂર છે.