રાજકોટ: રાષ્ટ્રધ્વજના અપમાનના કેસમાં હાર્દિક પટેલને મળશે રાહત
રાજોકટ ખાતે રાષ્ટ્રધ્વજના અપમાન બદલ હાર્દિક પટેલ વિરુદ્ધ નોધવામાં આવેલ 2 વર્ષ જૂનો કેસ પરત ખેંચાશે.
થોડા સમય પહેલાં રાજ્ય સરકારે ગાંધીનગર ખાતે પાટીદારોના પ્રશ્નોના ઉકેલ માટે પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જો કે, પાટીદાર અનામત આંદોલન મામલે કોઇ સ્થાયી ઉકેલ નહોતો નીકળ્યો, પરંતુ પાટીદારો પર દાખલ કરવામાં આવેલ કેસો પરત લેવાની વાત રાજ્ય સરકારે સ્વીકારી હતી. આ જ શ્રેણીમાં રાજકોટમાં બે વર્ષ પહેલાં પાસના કન્વીનર હાર્દિક પટેલ પર થયેલ રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ પણ પરત ખેંચાશે, આ સાથે જ જિલ્લા કલેક્ટર દ્વારા 35થી વધુ પાટીદારો પર નોંધાયેલ અલગ-અલગ છ કેસ પરત ખેંચવાના આદેશ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 18 ઓક્ટોબર, 2015ના રોજ રાજકોટના પડધરીમાં હાર્દિક પટેલ પર રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હવે રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ગુરૂવારે આ કેસ પરત ખેંચવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર કુલ 439 કેસ નોંધાયા છે, જેમાંથી 109 કેસ પહેલા જ પરત ખેંચી લેવાયા છે. અન્ય કેસો પરત ખેંચવા માટે સંબંધિત જિલ્લા કલેક્ટર અને પોલીસને સૂચના આપવામાં આવી છે.