રાજુ કરપડાએ AAP છોડવાની જાહેરાત કરતા હંગામો, જાણો શું કહ્યું પાર્ટીએ?
ગુજરાત આમ આદમી પાર્ટીમાં ફરી એકવાર ભડકો થયો છે. પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ અને કદાવર નેતા રાજુ કરપડાએ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ રાજુ કરપડાના જવાથી AAPને મોટો ફટકો પડ્યો છે. કરપડાએ પોતાનું રાજીનામું રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યું હોવાનું સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે.

રાજુ કરપડાએ રાજીનામા પાછળ વ્યક્તિગત કારણો આપ્યા છે, પરંતુ રાજકીય વર્તુળોમાં ગોપાલ ઈટાલિયા સાથેની નારાજગીની ચર્ચાઓ તેજ બની છે. 2022માં તેમણે ચોટીલા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી પણ લડી હતી.
ખેડૂત નેતા તરીકેની ઓળખ ધરાવતા કરપડાએ ફેસબુક પોસ્ટ દ્વારા સમર્થકોનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે પક્ષને મજબૂત કરવા માટે પરિવારોનો ભોગ આપ્યો છે, પરંતુ હવે જવાબદારી નિભાવવી શક્ય નથી.
બીજી તરફ, ઈસુદાન ગઢવીએ આ રાજીનામા પાછળ ભાજપના દબાણની આશંકા વ્યક્ત કરી છે. ગઢવીએ આક્ષેપ કર્યો કે ભાજપ 'સામ, દામ, દંડ, ભેદ'ની નીતિ અપનાવીને વિપક્ષના નેતાઓને તોડી રહ્યો છે.
કોંગ્રેસ નેતા કરસનદાસબાપુએ આ મામલે કટાક્ષ કરતા જણાવ્યું કે AAPમાં સાચા ખેડૂત નેતાઓ ટકી શકતા નથી. તેમના મતે, જે નેતાઓ ખેડૂતોનું હિત ઈચ્છે છે તે આ પક્ષમાં લાંબો સમય રહી શકતા નથી.












Click it and Unblock the Notifications
