નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ?
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સારા ગામે એક નિવૃત્ત CRPF જવાનના સન્માન સમારોહ દરમિયાન ભારે હોબાળો મચ્યો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આ જાહેર કાર્યક્રમની આડમાં મોટી સંખ્યામાં લોકોનું ધર્માંતરણ કરાવવાની પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી.

CRPFમાં 22 વર્ષની સેવા આપી નિવૃત્ત થયેલા સ્થાનિક જવાનના માનમાં મંગળવારે રાત્રે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ, કાર્યક્રમમાં ખ્રિસ્તી ધર્મની પ્રાર્થનાઓ અને ધર્મ પ્રચાર કરીને આદિવાસીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ થયો હતો.
ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. લોકોનો દાવો છે કે આટલા મોટા આયોજન માટે વહીવટી તંત્રની કોઈ પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી નહોતી.
આ વિવાદમાં મહારાષ્ટ્રના પાસ્ટર ડેનિયલ શિંદેની હાજરી સામે પણ ગ્રામજનોએ સખત વાંધો ઉઠાવ્યો હતો. પરિસ્થિતિ વણસતા બે જૂથો સામસામે આવી ગયા હતા, જેના કારણે ગામમાં અચાનક તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો અને પોલીસ બોલાવવી પડી હતી.
વાંસદા પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષો સાથે વાતચીત કરીને મામલો થાળે પાડ્યો હતો. હાલ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તૈનાત કરવામાં આવી છે અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જણાવાયું છે.
ગ્રામજનોએ આ મામલે પોલીસ મથકે લેખિત અરજી આપીને સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. જો કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ કે દબાણપૂર્વક ધર્માંતરણ સાબિત થાય, તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
