સરબજીત પર હુમલો એ કેન્દ્ર સરકારની વધુ એક નિષ્ફળતાઃ મોદી
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર પર નિશાન સાધતા કહ્યું છે કે, પાકિસ્તાનની જેલમાં સરબજીત સિંહ પર જાનલેવા હુમલો યુપીએ સરકારની વધુ એક નિષ્ફળતાને ઉજાગર કરે છે. મોદીએ કહ્યું છે કે, યુપીએ સરકાર પોતાને બચાવવામાં લાગેલી છે. દેશને બચાવવા માટે સરકાર પાસે સમય નથી. મોદી આજે સરબજીત પર થયેલા હુમલાને લઇને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં હતા.
તેમણે કહ્યું કે, ઇટાલિયન મરિન્સ અંગેની કાયદાકિય લડાઇ હોય, ભારતીય સૈનિકોના શિરચ્છેદ હોય, ચીનની સીમા પર ઘુષણખોરી હોય કે પછી સરબજીત સિંહ પરનો હુમલો હોય દરેક બાબતે સાબીત કર્યું છે કે કેન્દ્ર સરકાર તમામ મોરચે નિષ્ફળ છે. એક પછી એક જે બનાવો બની રહ્યાં છે તે સાબીત કરે છે કે ભારત સરકાર આપણા સત્યને અસરકારક રીતે રજૂ કરવામાં અસક્ષમ છે.
નોંધનીય છે કે, પાકિસ્તાનમાં ફાંસીની સજાનો સામનો કરી રહેલા ભારતીય કેદી સરબજીત સિંહ પર લાહોરની કોટ લખપત જેલમાં સાથી કેદીઓ દ્વારા હુમલો શુક્રવારે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સરબજીત સિંહને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે અને તે ડીપ કોમામાં છે. તેને લાહોરની જિન્ના હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે.