રાજ્યમાં શરૂ કરાશે સાત બ્રાઉન ફીલ્ડ મેડિકલ કોલેજ, સરકારે નીતિમાં કર્યો સુધારો
Brownfield Medical Colleges: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બ્રાઉન ફીલ્ડ મેડિકલ કોલેજની નીતિમાં કેટલાક સુધારા કરવામાં આવ્યાં છે. આ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016માં રાજ્યની જિલ્લા સ્તરની સરકારી હોસ્પિટલોને અપગ્રેડ કરીને જે તે જિલ્લામાં હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજ ખોલવા અંગેની બ્રાઉન ફીલ્ડ મેડિકલ કોલેજની નીતિ બનાવવામા આવી હતી. આ નીતિમાં કેટલાક સુધારા કરવામાં આવ્યાં છે.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ બનાસકાંઠા-પાલનપુર, અમરેલી, દાહોદ, ભરૂચ અને તાપી-વ્યારા એમ પાંચ જિલ્લા ખાતે બ્રાઉન ફીલ્ડ મેડિકલ કોલેજ કાર્યરત છે.
બ્રાઉન ફીલ્ડ નીતિમાં સુધારો થવાથી રાજ્યમાં બોટાદ, દેવભૂમિ-દ્વારકા, ગીર સોમનાથ, ખેડા-નડિયાદ, છોટાઉદેપુર, મહિસાગર-લુણાવાડા અને ડાંગ-આહવા એમ કુલ સાત જિલ્લામાં બ્રાઉન ફીલ્ડ મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે.

આ મેડિકલ કોલેજો શરૂ થવાથી રાજ્યની પ્રજાને જિલ્લા સ્તરે વધુ આરોગ્યપ્રદ સેવાઓ તજજ્ઞ ડૉકટર્સ દ્વારા મળી શકશે. હાલમાં કાર્યરત બ્રાઉન ફીલ્ડ નીતિમાં પ્રજાલક્ષી મહત્વના સુધારા કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં સગર્ભા મહિલાઓને પ્રસુતિ પછી 20 દિવસ સુધી તથા એક વર્ષ સુધીના બાળકો માટે સંપૂર્ણ ફ્રી સારવાર આપવાની રહેશે, જે માટે જરૂરિયાત મુજબનું એન.આઈ.સી.યુ. બનાવવાનું રહેશે.
ડાયાલીસીસની સેવાઓ માટે ઓછામાં ઓછું ૧૦ પથારીનું યુનિટ બનાવવાનું રહેશે.
શાળા આરોગ્ય ક્રાર્યક્રમના રેફરડ વિદ્યાર્થીઓના કિસ્સામાં હ્રદય, મગજ, કેન્સર અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, કોક્લીયર ઈમ્પ્લાન્ટ સિવાયની તમામ સારવાર ફ્રી આપવાની રહેશે.
હોસ્પિટલ ખાતેની બ્લડ બેંક બ્રાઉન ફીલ્ડ મેડિકલ કોલેજ બનાવ્યા બાદ પણ ફરજિયાત ચાલુ રાખવાની રહેશે.
આ સાથે દર્દીની જરૂરિયાત અને અગ્રતાને ધ્યાને લઈ તમામને જરૂરીયાત મુજબ નિ:શૂલ્ક બ્લડ પુરૂ પાડવાનુ રહેશે.
આ ઉપરાંત આજુ બાજુની સરકારી સંસ્થાઓને જરૂરિયાત મુજબ કોઈપણ જાતના ભેદભાવ વગર નિ:શૂલ્ક બ્લડ પુરુ પાડવાનું રહેશે.
સંસ્થા દ્વારા હોસ્પિટલનુ સંચાલન સંભાળ્યાથી ટ્રોમાના દર્દીઓ તથા વાહન અકસ્માતના દર્દીઓને ફરજિયાતપણે નિ:શૂલ્ક સારવાર આપવાની રહેશે.
બ્રાઉન ફિલ્ડ યોજના અન્વ્યે સંસ્થા દ્વારા હોસ્પિટલનું સંચાલન સંભાળ્યાથી નેશનલ મેડિકલ કમિશનના માપદંડો પ્રમાણે હોસ્પિટલના વિસ્તરણ કરવા ખૂટતી પથારીનાં બાંધકામ માટે સરકારશ્રી દ્વારા કોઈ વધારાનુ અનુદાન ફાળવવામાં આવશે નહી.
રાજ્ય સરકાર તથા ભારત સરકારની તમામ યોજનાઓનો અમલ કરવાનો રહેશે, પરંતુ તે માટે યોજનાકીય ફંડ ફાળવવામાં આવશે નહીં.
જોકે, હોસ્પિટલ PMJAY યોજના હેઠળની આવક જાળવી રાખવા માટે હકદાર રહેશે, જે તે હોસ્પિટલમાં રોગીઓને અપાતી સારવારની નિદાન ફી અને PMJAYની ફી પેટે થતી આવકની કૂલ રકમ પૈકી 25 ટકા રકમ જે-તે હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિમાં જમા લેવાની રહેશે, જે તે હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ નવી બનાવવાની રહેશે.
સંસ્થાએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ધી ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) એક્ટ, 2021 અને તે હસ્તકના નિયમોનો, તેમાં વખતો વખતના થયેલા સુધારાઓનો ચૂસ્તપણે અમલ કરવાના રહેશે.
ઉપર મુજબની શરતો અને જોગવાઇઓ પરત્વે પાત્ર વ્યક્તિ/સંસ્થા દ્વારા રૂપિયા ૩૦0ના સ્ટેમ્પ પેપર ઉપર બાહેંધરી આપવાની રહેશે.












Click it and Unblock the Notifications
