લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા થર્ડ ફ્રન્ટને કોઇ સ્થાન નથીઃ શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના બેનર તળે મેદાનમાં ઉતરે તેવી શક્યતા
રાજ્યના પુર્વ મુખ્યમંત્રી અને કૉંગ્રેસ સાથે છેડો ફાડી જન વિકલ્પ મોરચાની રચના કરનાર શંકરસિંહ વાઘેલાએ હવે ફરીથી લોકસભાની ચૂંટણીમાં સક્રિય થવાના અણસાર આપ્યા છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા જન વિકલ્પ મોરચામાંથી મેદાનમાં ઉતર્યા હતા. પરંતું, તેમનો કોઇ ઉમેદવાર જિતી શક્યો નહોતો. ત્યારે, હવે વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી લેનારા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના બેનર તળે મેદાનમાં ઉતરે તેવી શક્યતા નકારી શકાતી નથી.
શંકરસિંહનું એનસીપી તરફી કૂણું વલણ
સોમવારે શંકરસિંહ વાઘેલાએ તેમના નિવાસ સ્થાન વસંત વગડો ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેઓ એનસીપીમાં જોડાશે નહી. પરંતું, એનસીપી સાથે કૂણી લાગણી ધરાવતાં હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. શંકરસિંહ વાઘેલાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલા તેમણે જન વિકલ્પ મોરચા નામનો નવો પક્ષ બનાવ્યો હતો અને પોતાના ઉમેદવાર ચૂંટણીમાં ઉભા રાખ્યા હતા. પરંતું, શંકરસિંહ વાઘેલા હવે ભાજપ વિરુદ્ધ મોરચો માંડી ભાજપને હંફાવવાની વેતરણમાં હોય તેમ લાગી રહ્યું છે.
કેન્દ્ર સરકાર પર માર્યા ચાબખા
આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં સક્રિય ભૂમિકા નિભાવવાની વાતને શંકરસિંહ વાઘેલાએ ચૂંટણીલક્ષી રણનીતિ શરૂ કરી હતી. તેમના જનવિકલ્પ મોરચાના હોદ્દેદારો અને સમર્થકોની બેઠક વસંત વગડો ખાતે મળી હતી. આ દરમિયાન કેન્દ્રની ભાજપ સરકાર સામે લડવાની રણનીતિ પણ નક્કી કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપા સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, વર્ષ 2014માં સરકારે જે વાયદાઓ આપ્યા હતા તેને પૂર્ણ કરે સાથે જ તેમણે પેટ્રોલ - ડિઝલના ભાવ અંગે પણ સરકારને આડે હાથ લીધી હતી અને દિલ્હી રરકાર માત્ર માર્કેટિંગથી ચાલે છે તેઓ આરોપ લગાવ્યો હતો.
મોદી સરકાર પર પ્રહાર
આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયો ગગડે છે તેના માટે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીને જવાબદાર ગણાવ્યા હતા. ગુજરાત સરકાર પણ પેટ્રોલના ભાવ ઘટાડે તેની માંગણી કરી હતી. રોજગારના મુદ્દે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, 2 કરોડ લોકો પકોડા તળશે તો ખાશે કોણ. કેન્દ્ર સરકારની નીતિઓ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આ સરકાર ગેમ ચેન્જર નહી માત્ર નેમ ચેન્જર છે. યોજનાઓના માત્ર નામ બદલવામાં આવ્યા છે, ખેડૂત, ખેતી અને ખેતમજૂર તબાહ થઇ રહ્યા છે". શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને આડે હાથ લેતાં આકરા પ્રહાર કરી 2019માં પરાસ્ત કરવા તમામ વિપક્ષોને એક થવા અનુરોધ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રશંસા પણ કરી હતી.
ભાજપને હરાવવા ત્રીજો મોરચો જરૂરી નથી
બાપુએ કૉંગ્રેસ અને ભાજપ સાથે જોડાવા અંગેની અટકળો પર પુર્ણ વિરામ મુકતાં જણાવ્યું હતું કે, હું હાલ કોઈ પક્ષમાં જોડાવાનો નથી. મારૂં કાર્ય માત્ર તમામ પક્ષોને ભેગા કરીને તેમના વચ્ચેની મડાગાંઠને દૂર કરવાનો છે. આજની પરિસ્થિતિને અનુલક્ષીને મોદી સરકાર સામે તમામ પક્ષોને ભેગા કરવા માટે હું સક્રિય થયો છું. છેલ્લા પાંચ મહિનામાં દિલ્હી સહિત અનેક રાજ્યોનો પ્રવાસ કર્યો છે. ભાજપના આગેવાનો સહિત અન્ય આગેવાનોની પણ મુલાકાત કરી છે. તમામનો મત થર્ડ ફ્રન્ટ તરીકે મહાગઠબંધનનો છે. આજના ઠરાવમાં મને ગઠબંધનનું નેતૃત્વ કરવા કહ્યું છે. ભાજપ વિરોધી મતોના ભાગલા ન પડવા જોઈએ. ત્રીજો મોરચો નહી પણ બીજો મોરચો બને તે જરૂરી હોવાનો મત પણ બાપુએ વ્યક્ત કર્યો હતો.
રાહુલ ગાંધીના વખાણ કરી વિકલ્પ ખુલ્લો રાખ્યો
શંકર સિંહ વાઘેલાએ રાહુલ ગાંધીને લઇ કહ્યું કે,"રાહુલ ગાંધી વડાપ્રધાન પદનો દાવો છોડવા તૈયાર છે અને બે દિવસમાં દિલ્હીમાં જઈને નેતાઓને મળવાનો છું. મને સત્તાનો લોભ નથી. આડવાણી ગાંધીનગર લોકસભા બેઠક પરથી ફરીથી ચૂંટણી લડશે તેવા સંકેત પણ શંકરસિંહ વાઘેલાએ આપ્યા હતા. આ પણ વાંચો-દીકરીઓ સાથે રેપથી દેશ શર્મસાર, પીએમ ચૂપ: રાહુલ ગાંધી