ભાજપ સરકારનું બજેટ ચીલાચાલુ અને દિશાવિહિન: શંકરસિંહ વાઘેલા
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ વર્ષ 2017-18ના બજેટ અંગે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે.
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ વર્ષ 2017-18ના બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા એ જણાવ્યું હતું કે, ભાજપ સરકારનું આ બજેટ ચૂંટણીલક્ષી, ચીલાચાલુ, દિશાવિહિન, નીરસ, રાજ્યની પ્રજાને માત્ર હથેળીમાં ચાંદો દેખાડનારું, અગાઉના બજેટનું પુનરાવર્તન કરી આંકડાઓની માયાજાળ ઉભી કરી ગુજરાતની પ્રજાને છેતરનારું છે.
આંગણવાડી બહેનોને આપી લોલીપોપ
"આંગણવાડી બહેનોને 15%નો પગારવધારો એ માત્ર લોલીપોપ સમાન છે. 2૦ વર્ષે આદિવાસી મિત્રોને યાદ કરી, ભાજપની આદિવાસી વિકાસ યાત્રા માત્ર રાજકીય લાભ મેળવવાની તરકીબ છે. વનબંધુ, સાગરખેડૂ જેવી યોજના આજે ક્યાંય શોધી જડતી નથી. શિક્ષણ અને આરોગ્યની બાબતમાં સરકાર ગંભીર નથી. ભાજપ સરકારે ઓવરડ્રાફટ પણ લેવો પડયો છે, તે અણઘડ વહીવટનો નમૂનો છે. આજે પણ ૬૦ લાખ ભણેલા ગણેલા બેરોજગારો છે અને તેમાંય નોટબંધીના કારણે ઉતરોત્તર બેકારીમાં વધારો થનાર છે."
ભાજપ સરકાર પોતાની જવાબદારીથી દૂર ભાગે છે
"એક નવું જન્મતું બાળક આશરે રૂ. 35 હજારનું દેવું લઈને જન્મે છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે. ભાજપ સરકારનું આ છેલ્લું બજેટ 2૦17માં અમારી આવનાર કોંગ્રેસ સરકાર ઉપર બર્ડન નાંખનારું રહેશે. બજેટમાં માત્ર પોકળ વચનો અને ભાષણો સિવાય પ્રજાલક્ષી કોઈ વાત નથી. ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનો પરિપૂર્ણ કરી પ્રજાલક્ષી કાર્યો કરવાના હોય, એવું ન કરતાં તેમણે માત્ર પોકળ વચનો અને ભાષણો જ કરેલ છે. ભાજપ સરકાર પોતાની જવાબદારીથી દૂર ભાગી રહી હોય તેમ આ બજેટ ઉપરથી જણાય છે."
2010માં નર્મદા યોજના પૂરી કરવાની વાત હતી
"પ્રજાલક્ષી કોઈ કામો હોય તો તેમાં પી.પી.પી. યોજના દાખલ કરી દેવામાં આવે છે. ખાનગીકરણ કરી સરકારી નોકરીઓમાં તમામ કક્ષાએ આઉટ સોર્સીંગ પ્રથા દાખલ કરી દીધી છે. નર્મદા યોજના 2૦1૦માં પૂરી કરવાની શેખી મારનાર ભાજપ સરકારને આ યોજના 2૦૧7માં પણ કોની જટામાં અટવાઈ છે તેની ખબર પડતી નથી."
કચ્છની પ્રજાની મશ્કરી કરી છે
"કચ્છને 1 મીલીયન એકર ફીટ પાણી આપવાના આયોજન માટે ચાલુ બજેટમાં માત્ર રૂ. ૭૬ કરોડ ફાળવણી કરી છે, જે કચ્છની પ્રજાની મશ્કરી સમાન છે. પ્રજાને પીવાનું અને સિંચાઈનું પાણી મળે તેવી દાનત આ ભાજપ સરકારની નથી. નર્મદા યોજનાનું પાણી પાઈપલાઈન દ્વારા પૂરું પાડવાની વાત, એમાં પણ નર્યા ભ્રષ્ટાચારની બૂ આવે છે. પેટ્રોલ-ડીઝલની વાત કરીએ તો તેના ઉપરના વેટમાં સરકારે એકપણ રૂપિયાનો ઘટાડો કર્યો નથી. આજે પણ પ લાખ કરતાં વધુ ખેડૂતો વીજ કનેકશનથી વંચિત છે."
સૌરાષ્ટ્રની પ્રજાને અન્યાય
ગુજરાત સરકારે અગાઉ જાહેર કરેલ દહેજ, પરીએજ, ભાડભૂત, કલ્પસર જેવી યોજનાઓ માટે બજેટ ફાળવણી છતાં કોઈ અસરકારક પરિણામ જોવા મળતું નથી. સૌરાષ્ટ્રની સૌની યોજના કે જે રાજકીય લાભ મેળવવા માટેની યોજના હતી અને તેની મોટી-મોટી જાહેરાતો કરી પણ બજેટની ફાળવણીમાં તેમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે, જે સૌરાષ્ટ્રની સૂકી ધરતી અને પ્રજાને અન્યાયકર્તા છે.
અહીં વાંચો