2017ની ચૂંટણીમાં ગુજરાત રાજકારણના આ મુખ્ય ચહેરાઓ ગાયબ છે!
ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીના પ્રચારથી આ દિગ્ગજ નેતાઓ રહ્યા છે બહાર, આ નેતાઓએ ગુજરાત ચૂંટણીમાં રહ્યા છે ગાયબ. આ અંગે વધુ વાંચો અહીં.
ગુજરાતના રાજકારણના ભૂતકાળમાં ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર નેતા શંકરસિંહ વાઘેલાએ આ વખતની ચૂંટણીમાં એક્શન મોડમાં જોવા મળ્યા નથી. તેમના પક્ષ જન વિકલ્પ મોરચામાંથી 100 ઉમેદવારો ઓલ ઇન્ડિયા હિંદુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ચિહ્ન સાથે ચૂંટણી લડી રહ્યાં છે, પરંતુ બાપુ પોતે ઉમેદવાર તરીકે ઊભા નથી રહ્યાં અને ના તો એમણે પોતાના પક્ષનાકોઇ ઉમેદવાર માટે પ્રચાર કર્યો છે. બુધવારે ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતાં શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, હું 18 ડિસેમ્બર પછી જ મારા ભવિષ્યની યોજના કહીશ. જન વિકલ્પ મોરચાના ઉમેદવારોના પ્રચાર કાર્યક્રમો અંગે વાત કરતાં બાપુએ કહ્યું કે, અમે ચૂંટણી પ્રચાર માટે કોઇ ફંડ આપ્યું નથી, તેમણે પોતાના ખિસ્સામાંથી જ ખર્ચો કર્યો છે. તેમણે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ અને કોંગ્રેસ ધારાસભ્ય પરેશ ધાનાણી સામે કોઇ ઉમેદવાર ઊભા નથી રાખ્યા. બાપુએ આગળ કહ્યું હતું કે, કોંગ્રેસની જીતનો અર્થ થાય છે કે, હાર્દિક પટેલની પસંદગી પૂર્ણ થઇ છે
શંકરસિંહ વાઘેલા
ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલાએ 20 વર્ષ કોંગ્રેસમાં કામ કર્યા બાદ આ વર્ષે પક્ષ સાથે છેડો ફાડ્યો હતો. બાપુના પુત્ર મહેન્દ્રસિંહ, જેઓ અરવલ્લીના બાયડથી ધારાસભ્ય હતા, તેઓ પણ આ વખતે ચૂંટણી નથી લડી રહ્યાં. રાજ્યસભાની ચૂંટણી સમયે શંકરસિંહ વાઘેલા સાથે 13 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, પરંતુ તેઓ બાપુના પક્ષમાં નહોતા જોડાયા, એમાંથી કેટલાકને ભાજપની ટિકિટ પણ મળી છે. વર્ષ 1995માં ભાજપના ભાગલા પાછળ શંકરસિંહ વાઘેલાએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે. રાધનપુર પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવેલ શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. આ પાર્ટી 1998માં 4 બેઠકો જીતી હતી અને 1999માં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું. શંકરસિંહ વાઘેલા ગમે તે પાર્ટીમાંથી ચૂંટણી લડે, તેઓ પોતાની બેઠક પર હંમેશા જીતે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં બાપુ વર્ચસ્વ ધરાવે છે.
અહમદ પટેલ
સોનિયા ગાંધીના પોલિટિકલ સેક્રેટરી અહમદ પટેલ કોંગ્રેસના મુખ્ય સ્ટ્રેટેજિસ્ટ કહેવાય છે, પરંતુ ગુજરાત ચૂંટણી પ્રચારથી તેઓ દૂર રહ્યાં છે. રાજ્યસભાની ચૂંટણીના હાઇ-વોલ્ટેજ ડ્રામા બાદ તેઓ વિવિધ જનસભાઓ, રોડ શો અને રાહુલ ગાંધીની મંદિર મુલાકાતો દરમિયાન પણ જોવા મળ્યા છે, જો કે તેમણે પોતે કોઇ રેલી સંબોધી નથી. આ વખતની વિધાનસભા ચૂંટણી માટે તેમણે માત્ર જંબુસર, પાલેજ અને ભરૂચમાં બે સ્થળોએ જનસભાનું સંબોધન કર્યું હતું. આમ છતાં, ચૂંટણી પ્રચાર કાર્યક્રમોમાં અહમદ પટેલના નામનો ઉલ્લેખ ઘણીવાર સાંભળવા મળ્યો છે. બનાસકાંઠામાં જનસભા સંબોધતી વખતે પીએમ મોદીએ તેમના નામનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનના સેના અધિકારી ઇચ્છે છે કે કોંગ્રેસ ચૂંટણી જીતે અને અહમદ પટેલ સીએમ બને. જ્યારે અહમદ પટેલને પૂછવામાં આવ્યું કે, તેઓ ચૂંટણી પ્રચારમાં સક્રિય શા માટે નથી, ત્યારે તેમણે કહ્યું હતું કે, હું પ્રત્યક્ષ રીતે નહીં, પરંતુ પરોક્ષ રીતે સક્રિય છું. મને લો પ્રોફાઇલ રાખવો પસંદ છે. જો કે, પક્ષના અન્ય સૂત્રોના જણાવ્યા મુજબ, અહમદ પટેલ અને અન્ય મુસ્લિમ નેતાઓ જાહેરસભામાં જવાનું ટાળતા હતા, જેથી ભાજપ સામેની તેમની વ્યૂહરચના તૂટી ના પડે. અહમદ પટેલ ત્રણવાર ભરૂચથી લોકસભા ચૂંટણી અને 6 વાર રાજ્યસભા ચૂંટણી જીતી ચૂક્યાં છે.
કેશુભાઇ પટેલ
આ વખતે કેશુભાઇ પટેલ અને તેમનો પરિવાર પણ ચૂંટણીથી દૂર રહ્યાં છે. ગત ચૂંટણીમાં કેશુભાઇની નવી પાર્ટી ગુજરાત પરિવર્તન પાર્ટી સમાચારમાં હતી, જે પાટીદારોનું પ્રતિનિધિત્વ કરતી હતી. વર્ષ 2001માં તેમણે તે સમયના સીએમ નરેન્દ્ર મોદી સામે પડકાર ફેંક્યો હતો, વિસાવદરમાંથી તેમને ભારે જીત પણ મળી હતી, પરંતુ તેમનો પક્ષના ફાળે માત્ર 2 જ બેઠકો આવી હતી. બે વર્ષ બાદ કેશુભાઇ પટેલની પાર્ટી ભાજપ સાથે જોડાઇ ગઇ અને કેશુભાઇએ પોતાની વધતી ઉંમર અને આરોગ્યના પરિણામે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. લોકપ્રિય નેતા રહી ચૂકેલ કેશુભાઇ પટેલના પુત્રનું આ વર્ષે નિધન થયું હતું, જે પછી પીએમ મોદી તેમને મળવા પણ ગયા હતા. સીએમ વિજય રૂપાણીએ પણ ગત મહિને ઉમેદવારી નોંધાવતા પહેલાં કેશુભાઇની મુલાકાત લીધી હતી. આ વખતની ચૂંટણીમાં કેશુભાઇ કોઇ રીતે સક્રિય નથી, તેઓ માત્ર શ્રી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે કાર્યરત છે. તેમના પુત્ર ભરત પણ ચૂંટણીથી દૂર રહ્યાં છે.