10 દિવસનો અલ્ટીમેટમ, અલ્પેશ ઠાકોરે ઉઠાવ્યો હાઇ વે ચક્કાજામ
સોમવારે સવારે કલોકથી સિદ્ધપુર સુધી ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર દ્રારા હાઇ વે ચક્કાજામ કાર્યક્રમ રાખ્યા બાદ પોલિસ દ્વારા બાંયધરી અપાતા ઠાકોર સેનાએ આ હાઇ વે ચક્કાજામ પાછો ખેંચી લીધો છે. ઉલ્લેખનીય છે કેસિદ્ધપુરમાં તાજેતરમાં જ રાજપુર ગામે દારૂના અડ્ડા પર જનતા રેડ કરવા ગયેલા ઠાકોર સમાજના કાર્યકરો પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યો હતો. જો કે ફરિયાદ બાદ હુમલો કરનાર બુટલેગરને પોલિસ દ્વારા જામીન પર છૂટો કરતા ઠાકોર સમાજે આ અંગે વિરોધ નોંધાવ્યો હતો.
જે અંતર્ગત સિદ્ધપુર હાઇવે સર્કલ ખાતે ઠાકોર સેનાના કાર્યકરો આજે સવારે સતત પંદર મિનિટ સુધી રસ્તા બંધ કરી દીધા હતા .જોકે બાદમાં ઠાકોરસેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે આવીને સિદ્ધપુર ડીવાયએસપી સાથે વાતચીત શરૂ કરી હતી જેમાં માંગણી કરવામાં આવી હતી કે પોલીસ દસ દિવસમાં સ્થાનિક બુટલેગરો સામે પગલાં લે. અને જવાબદાર પોલીસ અધિકારી સમક્ષ પણ કાર્યવાહી કરે. જો કે પોલિસે આ વાત સ્વીકારતા હાઇ વે ચક્કાજામના કાર્યક્રમ પાછો ખેંચવામાં આવ્યો હતો. જુઓ તસવીરો....
સિદ્ધપુરમાં હુમલો
રાજપુરના ખારીયા વિસ્તારમાં ક્ષત્રિય સેના દ્વારા તાજેતરમાં જ જનતા રેડ હેઠળ દારૂના અડ્ડા પર રેડ પાડવામાં આવી હતી. પણ સામે પક્ષે બુટલેગરોએ પણ કાર્યવાહી કરતા ત્રણ કાર્યકરો ધાયલ થયા હતા. જે અંગે પાછળથી ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પણ પોલિસે આરોપીની અટક કરીને તેને જામીન છૂટો મુકતા ઠાકોર સેના દ્વારા પોલિસ પર આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેવો આરોપ લગાવામાં આવ્યો હતો.
ચક્કાજામ
જે બાદ આજે અલ્પેશ ઠાકોર અને ઠાકોર સમાજ દ્વારા મોટી સંખ્યામાં લોકોએ કાર્યકર્તાઓએ કલોકથી સિદ્ધપુર સુધીનો રસ્તો ચક્કાજામ કર્યો હતો. અને આ અંગે વિરોધ નોંધાવ્યો હતો.
અલ્પેશ ઠાકરે પોલિસનો માન્યો આભાર
જો કે જે બાદ ડીવાયએસપી એલ.જી.સોલંકી દ્વારા ઠાકોર સેના જોડે વાતચીત શરૂ કરતા અને ખાતરી અપાતા વાત થાળે પડી હતી. પોલિસે ખાતરી આપી કે આ કેસના પીએસઆઇ ચાવડાની બદલી કરવામાં આવશે અને દોષીઓ સામે જલ્દી જ પગલાં લેવામાં આવશે.
10 દિવસનું અલ્ટીમેટમ
તો સામે પક્ષે ઠાકોર સમાજે પણ પોલિસને આ અંગે કાર્યવાહી કરવા માટે 10 દિવસનું અલ્ટીમેટમ આપીને હાઇ વે ચક્કાજામનો પોતાનો આ કાર્યક્રમ પાછો ખેંચ્યો હતો.