મોદી ગુજરાતની મુલાકાતે, અમૂલના 6 ડિરેક્ટરે ઉદ્ઘાટન સમારંભનો કર્યો બહિષ્કાર
મોદી ગુજરાતની મુલાકાતે, અમૂલના 6 ડિરેક્ટરે ઉદ્ઘાટન સમારંભનો બહિષ્કાર કર્યો
આણંદઃ આણંદના મોગરા ગામ સ્થિત અમૂલ ડેરીએ 300 કરોડના ખર્ચે બનાવેલ ચોકલેટ પ્લાન્ટનું નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અમૂલના વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર સહતિ 6 બોર્ડ ઑફ ડિરેક્ટર્સે આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. જણાવી દઈએ કે રવિવારે પીએમ મોદીએ ચોકલેટ પ્લાન્ટ સહિતના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
અમૂલના વાઈસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર જેઓ બોરસદથી કોંગ્રેસના ધારાસભ્ય છે તેમણે કહ્યું કે કે, "ધીરુભાઈ ચાવડા, જુવાનસિંહ ચૌહાણ, રાજુસિંહ પરાર, નિતાબેન સોલંકી અને ચંદુભાઈ પરમારની સાથે હું પણ ઈવેન્ટમાં ભાગ લેવા માટે નહોતો ગયો. મેં ચેરમેનને સ્પષ્ટ રીતે કહી દીધું હતું કે કાર્યક્રમથી મને કંઈ વાંધો નથી પણ આ કાર્યક્રમ પોલિટિકલ ન હોવો જોઈએ. આ કાર્યક્રમથી અમૂલને કંઈ ફાયદો નથી થવાનો."
ઉલ્લેખનીય છે કે અમૂલ ડેરીના 17 બોર્ડ મેમ્બરમાંના એક રાજેન્દ્રસિંહ પણ છે. જો કે ચેરપર્સન રામસિંહ પરમાર જે છેલ્લા કેટલાક વર્ષોથી કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને ગત વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપ સાથે જોડાઈ ગયા હતા, આ રામસિંહ પરમાર સહિત અન્ય બોર્ડ મેમ્બર્સે કાર્યક્રમમાં હાજરી આપી હતી. શનિવારે રાજેન્દ્રસિંહે કહ્યું હતું કે ભાજપ દ્વારા અમૂલ ડેરીના કાર્યક્રમને હાઈજેક કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે પાર્ટીના કાર્યકરોએ સ્થાનિક નેતાના પોસ્ટરો લગાવી દીધાં હતાં.
ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં રાજેન્દ્રસિંહ પરમારે કહ્યું કે, "છેલ્લા 12 વર્ષથી હું અમૂલ ડેરીના વાઈસ ચેરમેન તરીકે રહ્યો છું. મારા પિતા પણ વાઈસ ચેરમેન હતા. અમૂલ ડેરીમાં કેટલાય વડાપ્રધાન આવ્યા પણ પોલિટિકલ ઈવેન્ટ ક્યારેય યોજાઈ નહોતી. આમંત્રણ પત્ર પર પણ માત્ર ભાજપી નેતાઓના જ નામ હતાં. આજે માત્ર એક પાર્ટીના નેતા જ સ્ટેજ પર જોવા મળ્યા હતા."
કાર્યક્રમનો બહિષ્કાર શા માટે કર્યો તેનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે આ કાર્યક્રમ પાછળ ખેડૂતોના 10-15 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આણંદ, ખેડા અને વડોદરાની આજુબાજુના કેટલાય ખેડૂતો હાજર રહ્યા હતા. આ પણ વાંચો- પીએનબી ઘોટાળો: ઈડીએ નીરવ મોદીની 637 કરોડની સંપત્તિ જપ્ત કરી