સોનિયા 7 ડિસેમ્બરે સોમનાથદાદાના દર્શન કરી સભા સંબોધશે
માનવામાં આવે છે કે નરેન્દ્ર મોદીએ મોંઘવારી, એફડીઆઇ મુદ્દે પોતાની દરેક સભામાં કોંગ્રેસની ધોલાઇ કર્યા બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ગુજરાતમાં ભ્રામક વિકાસના મુદ્દે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માથે માછલાં ધોશે.
સોનિયા ગાંધી 7 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાતના માંડવી તાલુકામાં કોંગ્રેસના ઉમેદવારની જાહેર સભાને સંબોધિત કરવા આવે એવી ધારણા છે. આ ઉપરાંત સોનિયા જૂનાગઢ જિલ્લાનાં કેશોદમાં પણ એક રેલીને સંબોધિત કરશે.
વડાપ્રધાન મનમોહન સિંહ પણ ગુજરાતમાં 6 ડિસેંબરે નવસારી જિલ્લાના વાંસદામાં જાહેર સભાને સંબોધિત કરે એવી ધારણા છે. આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના સ્ટાર પ્રચારકોનો પ્રથમ તબક્કાના મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચારનો દોર શરૂ થઇ જશે.
રાજસ્થાનના કોંગ્રેસી મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને હરિયાણાના કોંગ્રેસી મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હડ્ડા સુરતમાં તેમની પાર્ટીના ઉમેદવાર માટેની ચૂંટણી સભાને સંબોધિત કરવાના છે. સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે સોનિયા ગાંધી કેશોદ જતાં પહેલાં સોમનાથ મંદિરે દર્શન કરવા જશે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીઓની જાહેરાત થયા બાદ સોનિયા ગાંધીએ રાજકોટમાં જાહેર સભા સંબોધી હતી. આ સભામાં તેમણે નરેન્દ્ર મોદીના જુઠ્ઠાણાઓ અને કોંગ્રેસે કરેલા વિકાસ કામો લોકોને ગણાવ્યા હતા.