વાઇબ્રન્ટમાં મોદીને સ્ટેન્ડઅપ ઓવેશન અપાયું
એડીએ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી દ્વારા પોતાની સ્પીચ દરમિયાન મોદીના વખાણ તો કર્યા જ હતાં પરંતુ તેમણે ઉપસ્થિત મહાનુભાવોને અનુરોધ કર્યો હતો કે વિજયની ગાથા લખનાર અને લાંબુ વિઝન ધરાવનાર નરેન્દ્ર મોદીને સ્ટેન્ડઅપ એવિએશન આપવામાં આવે. તેમની આ વાતને ઉપસ્થિત તમામ મેદનીએ માનીને મોદીને સ્ટેન્ડપ ઓવેશન આપ્યું હતું. ગાંધીજી, સરદાર પટેલ અને ધીરુભાઇ અંબાણી સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જોડતા તેમણે કહ્યું હતું કે, ગાંધીજીએ લીડરશિપ અને અંતર પૂરું કરવાનો મંત્ર આપ્યો, મોદી સાહેબે તેમ કર્યું. સરદાર પટેલે જરૂપિયાતો પૂરી કરવા જણાવ્યું, નરેન્દ્ર મોદીએ તે કર્યું. મારા પિતા ધીરુભાઇએ લીડરશિપનો મંત્ર આપ્યો, તે પણ તેમણે ફોલો કર્યો. આ સાથે તેમણે હ્યદય આંખો ખુલ્લા રાખીને તેમના વિચારોને પણ અમલમાં મૂક્યા. નરેન્દ્ર મોદીમાં અર્જુન જેવી સ્પષ્ટ દીર્ઘદ્રષ્ટિ છે. જેના કારણે છેલ્લા દાયકામાં તેઓ વિશ્વ અને દેશમાં અનોખા વ્યક્તિત્વ તરીકે ઉભરી આવ્યા છે.
આ વાઇબ્રન્ટ ઇવેન્ટમાં હાજરી આપવા માટે રતન ટાટા, અદિ ગોદરેજ, આનંદ મહિન્દ્ર, ચંદા કોચર, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ગૌતમ અદાણી વગેરે જેવા ભારતીય ઉદ્યોગના મધાંતાઓ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત વિદેશી મહાનુભાવોએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. તાકાશી યાગી, એમ્બેસેડર જાપાન, પેટ્રિક બ્રાઉન એમપી કેનેડા આવ્યા હતા. આ પ્રસંગે સૌપ્રથમ ગણેશ વંદના કરીને ગુજરાતની ઓળખ આપતું કવિ નર્મદ લિખિત ગીત 'જય જય ગરવી ગુજરાત' રજૂ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, ગાંધીનગરમાં આવેલા મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના ઉદઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અંગ્રેજી ભાષામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે "આ પ્રસંગ સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિના અવસરે આવ્યો છે. એક સમયે ગુજરાત ભારતનું વિશ્વ સાથે વેપારનું વડુંમથક હતું. એક સમયે ગુજરાતના લોકોએ સમગ્ર વિશ્વને પોતાનું ઘર બનાવ્યું હતું. અમે હવે એવું ગુજરાત બનાવીશું કે સમગ્ર વિશ્વના લોકો ગુજરાતને પોતાનું ઘર બનાવશે. આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેનારા અને અમારા ભાગીદાર સૌનો હું આભાર માનું છું." તેમણે જણાવ્યું હતું કે યુવાઓને કેન્દ્રમાં રાખીને ગુજરાત નીતિ ઘડી રહ્યું છે જેથી આવનારા સામયમાં ગુજરાત વિશ્વ માટે દિશાદર્શક બની રહેશે.