રાજ્ય સરકારે બિંદુ સરોવરના વિકાસ માટે ખર્ચ્યા ૩પ કરોડ
પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા સિદ્ધપુર ખાતે ખૂબ જ મહત્વના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં બિંદુ સરોવર ઉપરાંત અલ્પા સરોવર, સિદ્ધેશ્વર મહાદેવ અને યજ્ઞશાળાને નવપલ્લવિત કરવાના કામો ઉપરાંત જયોતિર્લિંગ, ઘાટ વિકાસ, સાંઇબાબા મંદિર, ગોગા મહારાજ મંદિર, પરિસર વિકાસ વગેરે કામોનો સમાવેશ થાય છે.
આ તીર્થક્ષેત્રમાં લોકોની મુલાકાત અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર પાઠવતાં પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ પવિત્ર યાત્રાધામમાં દરરોજ સરેરાશ બે હજાર જેટલા લોકો દર્શનાર્થે અને ધાર્મિક ક્રિયા અર્થે આવે છે. તેમણે જણાવ્યું હતું કે, કાર્તિકી પૂર્ણિમાના દિવસે આ તીર્થક્ષેત્રની ૬ થી ૭ લાખ શ્રદ્ધાળુઓ અને મહાશિવરાત્રીના મેળામાં એકાદ લાખ લોકો અહીં આવે છે અને શ્રદ્ધાપૂર્વક ધાર્મિક ક્રિયા કર્મ અને દર્શન-અર્ચન કરે છે.
પ્રદીપસિંહ જાડેજાએ સિદ્ધપુરને સરસ્વતી-નર્મદાના સંગમનું આગવું સ્થાન ગણાવી જણાવ્યું હતું કે, આ વિસ્તારની વોરા જ્ઞાતિની સાંસ્કૃતિક વિરાસતને ધ્યાને લઇ મ્યુઝીયમ બનાવવાનું પણ રાજ્ય સરકારે નક્કી કર્યું છે. આ ચર્ચામાં ધારાસભ્યો રણછોડભાઈ રબારી અને તારાચંદભાઈ છેડાએ પણ ભાગ લીધો હતો.